Publish Date: Fri, 17 Feb 2017 (14:34 IST)
Updated Date: Fri, 17 Feb 2017 (14:40 IST)
આપણામાં એક કહેવત છે કે દિકરીનું લગ્ન એવા ઘરમાં કરવું જ્યાં પુસ્તકો હોય. આવું તો આપણે સાંભળીયું છે પરંતુ સુરતમાં એક એવા અનોખા લગ્ન થયા છે જેમાં કંકોત્રીમાં જ લખવામાં આવ્યું હતું કે લગ્નમાં કોઈએ ચાંદલો ન કરવો બધાએ ભેટ સ્વરૂપે પુસ્તકો આપવા. સુરતના વરાછા વિસ્તારમાં રહેતા મનસુખભાઈ નાથાભાઈ વઘાસિયાના બે દીકરાઓ રાજેશ અને હિતેશનાં 16મી ફેબ્રુઆરીની સાંજે લગ્ન યોજાયા હતાં. તેમની કંકોત્રીમાં લખ્યું હતું , ‘ચાંદલાને બદલે પુસ્તકો સ્વીકારવામાં આવશે..!’ તે પ્રમાણે સગા સંબંધીઓ પ્રેમથી પુસ્તકો લઈને આવ્યાં હતાં. ભેટમાં 1500 જેટલી પુસ્તકો આવી છે જેની હવે પુસ્તકાલય બનાવવામાં આવશે અને લોકોને વાંચવા માટે વિનામુલ્યે અપવામાં આવશે. ગુજરાત સરકારમાં રાજ્યકક્ષાના કૃષિમંત્રી વી.વી. વઘાસિયા લગ્નમાં હાજર રહ્યાં હતાં. અને વરકન્યાને પુસ્તકો આપીને જણાવ્યું હતું કે, લગ્નમાં આ એક પ્રયોગ ખૂબ આવકારદાયક છે. નરેન્દ્ર મોદીએ પણ ભાજપના દરેક કાર્યક્રમમાં પુસ્તક આપવાની નવી પ્રથા શરૂ કરાવી હતી. પુસ્તકો જ સાચા મિત્ર હોવાની અને વાંચન વધે તે માટે આ પ્રકારની જાગૃતિ ખૂબ આવશ્યક છે.