Publish Date: Wed, 21 Feb 2024 (06:33 IST)
Updated Date: Wed, 21 Feb 2024 (06:50 IST)
દ્વારકામાં સિગ્નેચર બ્રિજ બનીને તૈયાર છે. આ બ્રિજ ઓખા અને બેટ દ્વારકાના જળમાર્ગને જોડશે.
બેટ દ્વારકા જવા માટે અત્યારસુધી હોડીની મદદ લેવી પડતી હતી પરંતુ હવે લોકો આ બ્રિજની મદદથી ગાડી કે પગપાળા બેટ દ્વારકા પહોંચી શકશે.
આ બ્રિજ લગભગ અઢી કિલોમીટર લાંબો છે.
જેની મંજૂરી કેન્દ્રીય પરિવહનમંત્રી નીતિન ગડકરીએ 2016માં આપી હતી.
સમાચાર સંસ્થા એએનઆઇના અહેવાલ અનુસાર આગામી 25 ફેબ્રુઆરીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઓખાથી બૅટ દ્વારકા વચ્ચેના સિગ્નેચર બ્રિજનું ઉદ્ઘાટન કરશે.
અઢી કિલોમીટર લાંબો આ બ્રિજ સ્થાનિકો અને દ્વારકાધીશ મંદિરના દર્શને પહોંચતા શ્રદ્ધાળુઓ માટે ઘણો મહત્ત્વપૂર્ણ છે.
વર્ષ 2017માં આ બ્રિજની બનવાની શરૂઆત થઈ હતી.
બ્રિજની બનાવટ પાછળ 978 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે.
અહેવાલ પ્રમાણે સિગ્નેચર બ્રિજની ડિઝાઇન સાવ અલગ છે. બ્રિજની બંને બાજુ ભગવદ્ગીતાના શ્લોકો અને ભગવાન કૃષ્ણની તસવીરો જોવા મળે છે. આ ભારતનો સૌથી લાંબો કેબલબ્રિજ છે. બ્રિજના ફૂટપાથના ઉપરના ભાગે સોલાર પૅનલો લાગેલી છે, જે એક મેગાવૉટ વીજળી પેદા કરે છે.
સ્થાનિકો અને શ્રદ્ધાળુઓ આ બ્રિજ ખુલ્લો મુકાય તેની આતુરતા સાથે રાહ જોઈ રહ્યા છે, કારણ કે આ બ્રિજના કારણે પવિત્ર યાત્રાધામ મનાતા બૅટ દ્વારકા સુધી શ્રદ્ધાળુઓની પહોંચમાં વધારો થવાનો છે.