Publish Date: Fri, 14 Dec 2018 (12:52 IST)
Updated Date: Fri, 14 Dec 2018 (12:54 IST)
દેશના પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો સફાયો થતા અને ત્રણ મોટા રાજ્યો કોંગ્રેસે જીતી લેતા તેની અસર ગુજરાતના રાજકારણ પર પણ શરૂ થઇ છે. સચિવાલયમાં ચાલી રહેલી ચર્ચા મુજબ અને આધારભૂત સૂત્રો જણાવે છે કે ભાજપના બે ડઝનથી વધુ ધારાસભ્યો કોંગ્રેસના સંપર્કમાં છે. જેમાં મધ્ય ગુજરાતના ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના કેટલાક ધારાસભ્યોનો સમાવેશ થાય છે.
છેલ્લા કેટલાક સમયથી ભાજપ સરકાર અને સંગઠનમાં ભારે અસંતોષ જોવા મળે છે. સરકાર અને સંગઠનની વચ્ચે કોઇ તાલમેલ પણ નથી. નાના-મોટા સિનિયર કાર્યકરો અને આગેવાનો તેમજ ધારાસભ્યોને પણ એવું લાગે છે કે તેમનું કોઈ સાંભળતું નથી. માત્ર બેથી ત્રણ નેતાની આસપાસ જ સત્તા કેન્દ્રિત થઇ ગઈ છે. ભાજપમાં જ ત્રણ દાયકા સુધી રહેલા અને ચારથી પાંચ દરમિયાન સતત ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવેલા નેતાઓની પણ ભારે અવગણના થઈ રહી છે.
સાવ નવા નિશાળિયા આવેલા લોકોને મંત્રીપદ તેમજ અન્ય સારા હોદ્દા આપી દેવામાં આવે છે જ્યારે તન-મન-ધનથી વર્ષોથી સેવા કરી રહેલા પાયાના આગેવાનો અને ચૂંટાયેલા ધારાસભ્યોને કોઈ હોદ્દા હોતા નથી.
આ બાબતને લઈને ભાજપ ચરમસીમા પર છે આવી સ્થિતિમાં પાંચ રાજ્યોમાં ભાજપને ફટકો પડતાં ભાજપના આવા અસંતુષ્ટ ધારાસભ્યો અને નેતાઓ કોંગ્રેસ સાથે સતત સંપર્કમાં છે. કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ પણ આ બાબતની પુષ્ટિ કરતા કહ્યું છે કે 21થી વધારે ધારાસભ્યો અમારા સંપર્કમાં છે.