Publish Date: Fri, 12 Jun 2020 (16:43 IST)
Updated Date: Fri, 12 Jun 2020 (16:36 IST)
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં આ વખતે આમ આદમી પાર્ટી ઝંપલાવશે. આ ચૂંટણીમાં ત્રીજો મોરચો આમ આદમી પાર્ટી લડશે. આમ આદમી પાર્ટીના પ્રમુખ તરીકે પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન રાજભા ઝાલાની નિમણુંક કરવામાં આવી છે. ગુજરાત પ્રદેશ પ્રમુખ કિશોર દેસાઈની આગેવાનીમાં પાર્ટીના પ્રમુખ પદે રાજભા ઝાલાને નિમણુંક કરવામાં આવી છે. 11 લોકોના સંગઠનની રચના અને વોર્ડ વાઈઝ પ્રમુખની નિમણુંક કરવામાં આવી છે. આ વખતે આમ આદમી પાર્ટી ચૂંટણીમાં યુવાનોને લડવાની તક આપશે તેવું કિશોર દેસાઈએ જણાવ્યું છે. રાજભા ઝાલા એક સમયે મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિકટના સાથીદાર ગણાતા હતા. આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ કિશોર દેસાઈએ જણાવ્યું હતું કે કોંગ્રેસી નેતાઓ ગુજરાતની જનતાના ભાજપ વિરોધી મતોથી મેળવેલી જીતની કિંમત લઈને લોકોનો ભરોસો અને પોતાનું ઈમાન વેચી રહ્યાં છે અને ભાજપ જેવો પક્ષ પૈસાના જોરે લોકશાહીનું ખુલ્લે આમ વસ્ત્રાહરણ કરી રહ્યો છે. ત્યારે ગુજરાતની જનતા હવે ભાજપ-કોંગ્રેસનાં આ નિમ્ન કક્ષાના રાજકરણથી કંટાળી ગઈ છે. મહત્વનું છે કે ટૂંક સમયમાં જ પોલિંગ સ્ટેશન અને બુથ લેવલના માળખાની જાહેરાત કરી દેવામાં આવશે.