Publish Date: Tue, 13 Sep 2022 (19:41 IST)
Updated Date: Wed, 14 Sep 2022 (15:21 IST)
અધિક અષાઢમાં નવરાત્રિ વહેલી આવી ગઈ આ વર્ષે અષાઢ મહિનો અધિક હતો અને એને કારણે નવરાત્રિ વહેલી આવી ગયાનું મનાય છે. સામાન્ય રીતે નવરાત્રિ ઓક્ટોબર મહિનામાં હોય છે, પરંતુ આ વખતે સપ્ટેમ્બરના અંત ભાગમાં જ નવરાત્રિ બેસી જાય છે. બીજી તરફ, આ વર્ષે ચોમાસું 15 દિવસ મોડું હતું અને ચોમાસાનો પ્રારંભ જ 1 જુલાઈ પછી થયો હતો. આ કારણથી પાછોતરો વરસાદ પણ 15 દિવસ લંબાઈ શકે છે. આ કારણથી નવરાત્રિમાં આ વર્ષે પણ વરસાદ જોવા મળી શકે છે.
2019માં ભારે વરસાદે ત્રીજા નોરતે જ અમદાવાદના ખેલૈયાઓને ઘરમાં બેસાડી દીધા હતા. ત્યાર બાદ સળંગ બે વર્ષ- 2020 અને 2021માં કોરોનાએ રંગમાં ભંગ પાડ્યો. હવે માંડ 3 વર્ષે ગરબાની મજા માણવાનો રૂડો અવસર આવ્યો છે, ત્યારે ફરી વરસાદ વિલન બનીને ત્રાટકી શકે છે. હવામાન વિભાગના વરતારા અનુસાર, ગુજરાતમાં ચોમાસું હજી પૂરું થયું નથી અને મોન્સૂન વિડ્રોઅલ, એટલે કે ચોમાસું પૂર્ણ થવાની તારીખો લંબાઈને હવે 11-13 ઓક્ટોબર થઈ શકે છે. આ સ્થિતિમાં વરસાદ આ વખતે પણ ખેલૈયાઓના રંગમાં ભંગ પાડી શકે છે.