Publish Date: Sat, 19 Jan 2019 (11:43 IST)
Updated Date: Sat, 19 Jan 2019 (14:18 IST)
વડાપ્રધાન મોદી ત્રણ દિવસ માટે ગુજરાતના પ્રવાસ પર આવ્યા છે. ગુજરાતમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવા માટે ગુજરાત આવી પહોંચેલા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની માતા હિરાબા સાથે મુલાકાત કરી હતી. ગાંધીનગરથી વિદાય લેતા પહેલા મોદી પોતાના ૯૫ વર્ષીય માતા હિરાબાને મળવાનું ચૂક્યા નથી. સામાન્ય રીતે જ્યારે મોદી અમદાવાદ કે ગાંધીનગરના પ્રવાસ પર આવે છે ત્યારે તેઓ અચૂક તેમની માતાને મળે છે. પરંતુ છેલ્લી કેટલીક વખતથી તેઓ ગુજરાત પ્રવાસ પર આવ્યા હોવા છતા તેઓ તેમની માતા હિરાબાને મળી શક્યા નહતા.
પીએમ મોદીના માતાની તબિયત ઉંમરના કારણે થોડી ખરાબ રહે છે. મોદીના માતા હિરાબા છેલ્લા કેટલાક સમયથી પથારીવસ છે. ૯૫ વર્ષ જેટલી ઉંમરે તબિયત લથડવી એ ખૂબ જ સ્વાભાવિક વાત છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર નરેન્દ્ર મોદી બે કારના કાફલા સાથે રાયસણ ખાતે પોતાના ભાઈ પંકજ મોદીના ઘરે પહોંચ્યા હતા. રાયસણ પાસેના વૃંદાવન એપાર્ટમેન્ટમાં ગઈ કાલ રાતથી જ ચુસ્ત બંદોબસ્ત ગોઠવાઈ ગયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી લગભગ અડધો કલાક સુધી તેઓ માતા સાથે રોકાયા હતા. વડાપ્રધાન મોદીની એક ઝલક જોવા માટે સોસાયટીમાં લોકોના ટોળા જામ્યા હતા. લોકસભા ૨૦૧૯ની ચૂંટણીમાં વ્યસ્ત થઈ જવાના કારણે પીએમ મોદી પહેલા જ માતાને મળી આવ્યા.