Publish Date: Mon, 13 Aug 2018 (15:21 IST)
Updated Date: Mon, 13 Aug 2018 (15:23 IST)
મગફળી કૌભાંડને લઇને પરેશ ધાનાણીએ કૃષિમંત્રી પર કરેલા આક્ષેપોને લઇને આજે રાજકોટમાં આરસી ફળદુની પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી. જેમાં તેઓએ જણાવ્યું હતુ કે, પરેશ ધાનાણીએ મારી વ્યક્તિગત આબરૂ પર હાથ નાખ્યો છે, સાબિત કરે નહીં તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ફળદુએ વધુમાં જણાવ્યું હતું કે મગફળી મામલે કોંગ્રેસ અને ભાજપના બંન્નેના નામ ખુલ્યા છે. કોંગ્રેસના નામ ખુલતા કોંગ્રેસ અકળાઇ ગઇ છે. ચીમન શાપરીયા પર વિપક્ષી નેતાએ આક્ષેપો કર્યા હતા. નાફેડ દ્વારા ઓઇલ મિલરોને મગફળી વહેંચી દેવામાં આવી છે. ધાનાણીએ રાજકીય લાભ મેળવવા ધરણા કરી રહ્યા છે. હરિપર સહકારી મંડિળી દ્વારા કોઇ પણ ગેરરીતિ કરવામાં આવી નથી. જો ગેરરીતિ કરવામાં આવી હોય તો સાબિતી આપે. પરેશ ધાનાણીની ઓડિયો ક્લિપની ચકાસણી થવી જોઇએ સાચી છે કે ખોટી. ચીમન સગપરીયાએ પણ કહ્યું છે કે સાબિત થાય તો જાહેર જીવન છોડી દઇશ બાકી પરેશ ધાનાણી છોડી દે. મગન અને વાઘજીનો ભત્રીજો રોહિત પણ કોંગ્રેસના જ માણસો છે. આવા નામ ખુલતા કોંગ્રેસ બેબાકળી બની છે.