Publish Date: Wed, 17 Jan 2018 (14:11 IST)
Updated Date: Wed, 17 Jan 2018 (17:13 IST)
ભાજપના રાજમાં પંચાયતીરાજથી માંડીને ન્યાયપાલિકા પર આક્રમણ થઇ રહ્યુ છે જેના લીધે સામાન્ય વ્યક્તિનો ન્યાય પરથી વિશ્વાસ ડગ્યો છે તેવો આરોપ મૂકતા વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું કે, હવે સત્તાના જોરે ભાજપ સરકાર વિપક્ષનો અવાજ રૃંધી નહી શકે કેમ કે, વિપક્ષએ લોકોનો અવાજ બની રહેશે.પ્રજાલક્ષી પ્રશ્નોના મુદ્દે વિપક્ષ સરકાર સામે જોરદાર લડત આપવા સક્ષમ છે. વિધાનસભાની ચૂંટણીમાં ભલે અંકગણિતની દ્રષ્ટિએ ભાજપે સત્તાના સિંહાસન સંભાળ્યા હોય પણ વાસ્તવમાં કોંગ્રેસ ગુજરાતની જનતાનો પ્રેમ મેળવવામાં ખૂબ જ સફળ થઇ છે.
વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ ભાજપ સરકારની નિષ્ફળ નિતીઓની આકરી ટિકા કરતાં કહ્યું કે,વાયબ્રન્ટ ગુજરાતમાં હજારો બીપીએલકુટુંબધારકો આજે બે ટંક ભોજનથી પણ વંચિત છે. કણનુ મણ કરનારાં ખેડૂતોને આજે મોઘું બિયારણ,દવા,ખાતર ખરીદવી પડ છે તેમ છતાંયે પોષણક્ષમ ભાવો મળતા નથી.ગામડામાં બાળકોને શિક્ષણ મળતુ નથી,સરકારી દવાખાનામાં દવા-સારવારનો અભાવ છે. આજે ચૂંટણી પૂર્ણ થતાં જ ભાજપ સરકાર પ્રજાને આપેલા વાયદા ભૂલી ગઇ છે.ગાંધીનગરમાં ભાજપના સત્તાધીશો ફરીએકવાર સત્તાની ભાગબટાઇમાં મસ્ત બન્યાં છે. આગામી વિધાનસભામાં સિનિયર ધારાસભ્યોના અનુભવ,યુવા ધારાસભ્યોના જોશના સમન્વયથી પ્રજાના પ્રશ્નો ઉઠાવી સરકારને ઘેરીશું તેવો વિશ્વાસ વ્યક્ત કરતાં તેમણે કહ્યું કે,કમનસીબે આજે ચૂંટણીના એક મહિના બાદ પણ ધારાસભ્યો વિધાનસભાનો હિસ્સો બની શક્યા નથી. આ ગુજરાત મોડેલ છે. વિધાનસભામાં ભાજપ સરકાર પણ વિપક્ષના અવાજનો લોકોનો અવાજ સમજી હકારાત્મક દ્રષ્ટિથી પ્રશ્નોનો ઉકેલ લાવે તે જરૃરી છે. પરેશ ધાનાણી ૧૯મીએ વિપક્ષી નેતાપદે ચાર્જ સંભાળશે.