Publish Date: Mon, 08 Jan 2018 (12:32 IST)
Updated Date: Mon, 08 Jan 2018 (12:33 IST)
ગુજરાત વિધાનસભના વિપક્ષના નેતા તરીકે કૉંગ્રેસ દ્વારા પાટીદાર યુવા નેતા પરેશ ધાનાણીની પસંદગી કરવામાં આવી હતી. દિલ્હીથી પરત ફર્યા બાદ સુરતના ઍરપોર્ટ પર પરેશ ધાનાણીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ધાનાણીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં જે રીતે ભાજપે સરકાર બનાવી તે અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે. તમામને સાથે રાખીને ગુજરાતની સમસ્યાને વાચા આપીશ. ભાજપે ધન અને બળથી સરકાર બનાવી છે. ગુજરાતને ભ્રષ્ટાચારથી મુક્તિ અપાવવા માટે લડતો રહીશ.
અમરેલીના ધારાસભ્ય પરેશ ધાનાણીને કૉંગ્રેસ પક્ષ દ્વારા ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા બનાવવામાં આવ્યા બાદ ધાનાણી દિલ્હીથી સુરત પહોંચ્યા હતા અને સુરત ઍરપોર્ટ ઉપર કૉંગ્રેસ કાર્યકરો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું. તેમણે કહ્યું હતું કે ગુજરાતમાં હોશ અને જોશના સમન્વયથી વિધાનસભામાં પ્રશ્ર્નો ઉઠાવીશ. તમામ સમર્થકોનો આભાર માનું છું. આ પ્રસંગે ધાનાણીએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે ધન અને બળથી ભાજપે સરકાર બનાવી છે એ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. હું મારા વ્યક્તિગત કામથી સુરત આવ્યો હતો. ધાનાણી અમરેલી જવા રવાના થયા હતા. દરમિયાન સુરતથી વતન અમરેલી પહોંચેલા ધાનાણીનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું.