Publish Date: Mon, 19 Nov 2018 (15:24 IST)
Updated Date: Mon, 19 Nov 2018 (15:26 IST)
કોંગ્રેસના ભૂતપૂર્વ નેતા શંકરસિંહ વાઘેલાએ ફરીએક વાર નિવેદન આપીને વિવાદને નવુ સ્વરૂપ આપ્યું છે. સુરતમાં પત્રકાર પરિષદમાં શંકરસિંહ વાઘેલાએ આરએસએસ પર આકરા પ્રહાર કર્યા હતા. શંકરસિંહે કોંગ્રેસ અને ગાંધી પરિવારની વાતો થતી હોય ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પદે અને સંઘના નાગપુર ખાતેના રેશમબાગમાં વડા તરીકે ભાગવતને બદલે મુસ્લિમને વડા બનાવવાની વાત છેડી હતી. સંઘમાં લઘુમતી શાખા છે જ ત્યારે અંદરથી શા માટે મુસ્લિમ સભ્યને વડા બનાવાતા નથી. શંકરસિંહે મોદી સરકારને ચેલેન્જ આપતા કહ્યું હતું કે, તેઓ વડાપ્રધાનને કહેશે કે સંઘના વડા ભાગવતને બદલે કોઈ મુસ્લિમને બનાવો. બીજેપી હેડ ક્વાર્ટરમાં પણ મુસ્લિમ બેસાડો. શંકરસિંહના આ નિવેદનથી રાજકીય ચર્ચાઓ શરૂ થઈ છે. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે, ઇવીએમ મશીન પ્રત્યે લોકોને શંકા ઉભી થઇ રહી છે. ૨૦૧૯માં ઈલેક્શન કમિશનને ઇવીએમ હટાવી બેલેટ પેપર ઇલેક્શન કરવા અમે સૂચવ્યું છે. રી કાઈન્ટિંગ પટ્ટીઓથી કરો. ભલે ગણતરીમાં ૨ દિવસ લાગે. આ અંગેની નકલ બધા જ રાજયોના વડાને મોકલી આપી છે.૨૦૧૯માં યુપીએ સરકાર સત્તા પર આવશે તેવુ નિવેદન પણ પૂર્વ મુખ્યમંત્રીએ આપ્યું હતું. તો બીજી તરફ ખેડૂતોની પરિસ્થિતિને લઈ કહ્યું હતું કે, ખેડૂતો સરકારની નીતિને લઈ આપઘાત કરી રહ્યા છે. મગફળીને લઈ કોણ ખરીદશે, ક્યારે ખરીદશે એ સરકાર જણાવે. ફક્ત ખેડૂતોને ખુશ કરવા આ જાહેરાત કરાઈ છે. ખેડૂતોમાં ભડકો થશે તો સરકારને દઝાડશે. દૂધના ભાવમાં પણ એમએસપી કરવું જોઈએ. સરકારે સબસીડી આપવી જોઈએ.