Publish Date: Tue, 18 Sep 2018 (15:38 IST)
Updated Date: Tue, 18 Sep 2018 (15:41 IST)
વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટી સાથે છેડો ફાડી લેનારા પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા હવે નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી(એનસીપી)માં જોડાશે. આગામી લોકસભાની ચૂંટણીમાં તેઓ એનસીપીની ટિકિટ પરથી ચૂંટણી લડશે. મળતી માહિતી પ્રમાણે એનસીપી તરફથી શંકરસિંહને બે ટિકિટ ફાળવવામાં આવશે. એવી પણ માહિતી મળી છે કે કોંગ્રેસ ગુજરાતમાં બે બેઠક પર પોતાના ઉમેદવાર ઉભા નહીં રાખે. નોંધનીય છે કે શંકરસિંહ વાઘેલાએ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસ સાથે છેડો ફાડી દીધો હતો. વિધાનસભાની ચૂંટણી પહેલા તેમણે જન વિકલ્પ મોરચા નામનો નવો પક્ષ બનાવ્યો હતો અને પોતાના ઉમેદવાર ચૂંટણીમાં ઉભા રાખ્યા હતા.અષાઢી બીજના પવિત્ર પર્વ પર ગુજરાત પૂર્વ મુખ્યમંત્રી તેમજ કોંગ્રેસમાંથી અલગ થઈને નવા પક્ષની રચના કરનાર શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્ર સિંહ વાઘેલા આખરે બીજેપીમાં ગોઠવાઇ ગયા હતા. તેમણે વિધિવત રીતે બીજેપીનો ખેસ પહેરી લીધો હતો. ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની હાજરીમાં તેમને ભાજપનો કેસરી ખેસ પહેરાવ્યો હતો.મહેન્દ્રસિંહ વાઘેલા બાયડના પૂર્વ ધારાસભ્ય છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી વખતે તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું. એ સમયે એવા અહેવાલ વહેતા થયા હતા કે તેઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે. જોકે, તેઓ ભાજપમાં જોડાયા ન હતા.