Publish Date: Thu, 01 Nov 2018 (10:55 IST)
Updated Date: Thu, 01 Nov 2018 (10:57 IST)
આજથી બરાબર પાંચ વર્ષ સ્ટેચ્યુ ઓફ યુનિટીનો શિલાન્યાસ કર્યો તે વખતે મોદી ગુજરાતના સીએમ હતા. આજે ભાજપમાં મોદીનું જેટલું કદ અને પ્રભાવ છે, તેટલો કદાચ 2013માં નહોતો. તે વખતે મોદી અડવાણીના શિષ્ય હતા, અને તેમને જ તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટીના શિલાન્યાસમાં મુખ્ય મહેમાન તરીકે આમંત્ર્યા હતા. જોકે, પાંચ વર્ષમાં સમય એટલો બદલાઈ ગયો કે આજે અડવાણી અને મોદી વચ્ચેના સંબંધો કેવા છે તે જગજાહેર છે. જે અડવાણીની મુખ્ય મહેમાન તરીકેની હાજરીમાં દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા બનાવવાના કામનો શિલાન્યાસ થયો હતો, તેના જ અનાવરણમાં તેમને આમંત્રણ આપવાનું તો ઠીક, પરંતુ તેમનો ક્યાંય ઉલ્લેખ પણ કરાયો નથી. અડવાણીને ખાતરી થઈ ગઈ કે હવે તેમના માટે દેશના પીએમ બનવું અશક્ય છે. બસ ત્યારથી જ એક સમયના ગુરુ-ચેલાના સંબંધોમાં ખટાશ આવી હતી.લોકસભાની ચૂંટણીમાં જંગી વિજય હાંસલ કર્યા બાદ મોદીએ અડવાણી તેમજ તેમના જેવા પક્ષના સીનિયર નેતાઓને સરકારમાં કોઈ સ્થાન આપવાને બદલે ‘માર્ગદર્શક મંડળ’ બનાવી તેમાં બેસાડી દીધા. જોકે, આ વડીલો પાસેથી કેટલું માર્ગદર્શન લેવાયું અને તેના પર કેટલો અમલ થયો તે પાછો અલગ જ વિષય છે.અડવાણીનું નામ એક સમયે તો રાષ્ટ્રપતિ પદ માટે પણ ગાજ્યું હતું, પરંતુ છેલ્લા સમયે તેમની સામે વર્ષો જૂનો બાબરી મસ્જિદનો કેસ ખૂલ્યો અને અડવાણીને રાષ્ટ્રપતિ બનવા પણ ન મળ્યું. 2019માં લોકસભા ચૂંટણી આવી રહી છે, અને તેને ગણતરીનો સમય જ બાકી રહી ગયો છે ત્યારે ગાંધીનગરથી વર્ષોથી ચૂંટણી જીતતા અડવાણી આ ચૂંટણી પણ લડશે કે કેમ તે કોઈને ખબર નથી.