જાણો મોરબીના સીરામીક ઉદ્યોગકારોને કોણે ૪૦૦ કરોડનો દંડ ફટકાર્યો
Publish Date: Fri, 13 Sep 2019 (15:21 IST)
Updated Date: Fri, 13 Sep 2019 (15:23 IST)
મોરબીનો સિરામિક ઉદ્યોગ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે અને ચીનને પણ હંફાવે છે. ભારત દેશમાં વેચાતી મોટાભાગની સિરામિક પ્રોડક્ટનું મોરબીમાં ઉત્પાદન કરવામાં આવે છે. મોરબીના સિરામિક ઉદ્યોગકારોને હવે રાતાપાણીએ રોવાનો વારો આવ્યો છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા મોરબીના સિરામિક ઉદ્યોગકારોને રૂ.400 કરોડનો મસમોટો દંડ ફટકારમાં આવ્યો છે.
મોરબીના ઉદ્યોગકારો ટાઈલ્સ અને અન્ય સિરામિક ઉત્પાદનોનાં નિર્માણ માટે કોલ ગેસિફાયરનો ઉપયોગ કરે છે. જેનાથી હવા, પાણી અને જમીનને મોટું નુકસાન પહોંચતું હોય છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આ ઉદ્યોગકારોએ જ્યારેથી કોલ ગેસીફાયર ફીટ કર્યા છે તે દિવસથી દૈનિક રૂ.5000નો દંડ ગણવામાં આવ્યો છે.
જીપીસીબી દ્વારા આપવામાં આવેલી નોટિસ અનુસાર, દરેક ઉદ્યોગપતિને એક મહિનામાં દંડની રકમ ભરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ઉદ્યોગકારોને ઓર્ડરની કોપી જીપીસીબીમાંથી મોકલાવી દેવામાં આવી. ઉદ્યોગકારોમાં એવી ચર્ચા છે કે, હાલ તેમને જીપીસીબી તરફથી જે ઓર્ડર મળ્યો છે તે વચગાળાની રકમ છે. હજુ ફાઈનલ આદેશમાં દંડની રકમમાં વધારો થાય તેવા સંકેત છે.
આગળનો લેખ