Publish Date: Wed, 03 Jan 2018 (12:01 IST)
Updated Date: Wed, 03 Jan 2018 (12:04 IST)
અમદાવાદ શહેરના કોટ વિસ્તારમાં ચાલતા મેટ્રો કંસ્ટ્રક્શનના કારણે કાલુપુર સહિતના મુખ્ય હોલસેલ બજારોના વિસ્તારમાં કપાત આવતી હોવાથી કામ અટક્યું છે. મેટ્રો પ્રોજેક્ટ માટે રેવડી બજાર અથવા સરદાર વલ્લભભાઈ પટેલ સિંધિ કો-ઓપરેટિવ સોસાયટીના વેપારીઓ અને તંત્ર વચ્ચે કપાત અંગે સમજૂતી નહીં થાય તો ફરી એકવાર સમગ્ર પ્રોજેક્ટ ખોરંભે ચડશે.રેવડી બજાર માર્કેટ કોમ્પ્લેક્સમાં આશરે 455 જેટલી કાયદેસર દુકાનો આવેલી છે જ્યારે 69 જેટલી ગેરકાયદે દુકાનોના વેપારીઓ આ સંપાદન કાર્ય સામે લડત આપી રહ્યા છે.
તેમનું કહેવું છે કે કુલ 10000 સ્ક્વેર મીટર જગ્યામાંથી આ પ્રોજેક્ટ પાછળ તેમની 5000 સ્ક્વેર મીટર જગ્યા કપાતમાં જશે. જેને લઈને એસોસિએશને નજીકમાં આવેલ મિલની 10000 સ્ક્વેર મીટરની જગ્યા આ 60 વર્ષ જૂની બજારને રીલોકેટ કરવા માટે આપવા માગણી કરી છે. SVPSCSના ચેરમેનેકહ્યું કે, ‘મેટ્રો અને ત્યાર બાદ રોડની ટીપી કપાતથી અમારી કુલ માર્કેટની 50%થી વધુ જમીન જતી રહેશે. આ જગ્યા દેશના ભાગલા પડ્યા ત્યારે પાકિસ્તાનથી આવેલા સિંધિઓને કેન્દ્ર સરકાર દ્વારા તેમના જીવનનિર્વાહ માટે આપવામાં આવી હતી. અમે બધા જ લોકો વર્ષોથી હોલસેલના વેપારમાં છીએ જો આ જગ્યા જતી રહેશે તો અમારી સામે રોજીરોટીનો પ્રશ્ન ઉભો થશે. રેવડી બજારના ટ્રેડર એસોસિએશને અમાદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને પણ આ અંગે ચાર વખત રજૂઆત કરી છે. જ્યારે કોર્પોરેશનના અધિકારી કહી રહ્યા છે કે રેવડી બજારમાં કેટલીક ગેરકાયદેસર દુકાનો બની ગઈ છે. એસોશિએશને પહેલા આવી દુકાનો બંધ કરાવી પડશે.જ્યારે બીજી તરફ વેપારીઓ દલીલ કરી રહ્યા છે કે સાલ 2000ની શરુઆતમાં તેમણે વેપાર માટે આ આ જગ્યાના કોર્રોપેશનને તત્કાલીન ભાવ મુજબ પ્રત્યેક સ્ક્વેર મીટરના રૂ. 7,500 હિસાબે રુ. 1.25 કરોડ ચૂકવ્યા છે. એસોસિએશનના પ્રમુખ રામ ચાવલાએ કહ્યું કે, ‘અમે કોર્પોરેશનને 1.25 કરોડ રુપિયા ચૂકવ્યા હોવાની અમારી પાસે રિસિપ્ટ પણ છે. હકીકતમાં તો કોર્પોરેશને જ આગળની કાર્યવાહી પૂર્ણ નથી કરી.