Publish Date: Thu, 05 Dec 2019 (14:13 IST)
Updated Date: Thu, 05 Dec 2019 (14:17 IST)
વડોદરાના નવલખી મેદાન પર સગીરા પર સામૂહીક બળાત્કારની બનેલી ઘટનામાં બળાત્કારીઓ આજે છઠ્ઠા દિવસે પણ પોલીસના હાથમાં આવ્યા નથી. તેના પગલે પોલીસની સામે આક્રોશ ભભૂકતો જાય છે. વડોદરાના ગાંધીનગર ગૃહથી કલેક્ટર કચેરી સુધી આજે વિશાળ મૌન રેલી કાઢીને કલેક્ટરને આવેદનપત્ર આપ્યુ હતુ. બીજી તરફ પિડીતાનું સીઆરપીસી ૧૬૪ મુજબ એક્સિક્યુટીવ મેજીસ્ટ્રેટ સમક્ષ નિવેદન લેવામાં આવ્યુ હતુ.
ગત ગુરુવારે રાત્રે નવલખી મેદાન પર સગીર વયના મિત્રની સાથે ગયેલી સગીરા પર સામૂહીક બળાત્કારની ઘટના બની હતી. જેમાં બળાત્કારીઓને પકડવામાં પોલીસ આકાશ પાતાળ એક કરી રહી છે. આટલી મહેનત પછી પણ પોલીસના હાથમાં નરાધમો આવ્યા નથી. તંત્રની સાથે સાશકોની સામે હવે આક્રોશ શરૂ થઇ રહ્યો છે. આ સ્થિતી પારખી ગયેલા વડોદરાના સંસદ સભ્ય તથા શહેર ભાજપા પ્રમુખ રંજનબેન ભટ્ટ તથા શહેર મત વિસ્તારના ધારાસભ્ય મનિષાબેન વકીલ પિડીતાના નિવાસસ્થાને પહોચી ગયા હતા. તેઓએ પિડીતાને મળીને ન્યાય અપાવવાનું સાંતન્વ આપ્યુ હતુ.
આ ઘટનાને પગલે શહેરીજનોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. ત્યારે શહેરમાં વિવિધ સંસ્થાઓ, સંગઠનો, રાજકીય પક્ષો દ્વારા દુષ્કર્મને ઘટનાને વખોડતા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. મંગળવારે શહેરના જાગૃત નાગરીકો દ્વારા ગાંધીનગર ખાતેથી મોંઢા ઉપર કાળી પટ્ટી ધારણ કરીને વિશાળ મૌન રેલી કાઢવામાં આવી હતી. ગાંધીનગર ગૃહ ખાતેથી નીકળેલી રેલીમાં મોટી સંખ્યામાં વિવિધ સમાજના લોકો જોડાયા હતા. પિડીતાને ન્યાય અપાવવા માટે માંગણી કરી હતી.
ગાંધીનગર ગૃહ ખાતેથી નીકળેલી રેલી અમદાવાદી પોળ, રાવપુરા રોડ, કોઠી ચાર રસ્તા થઇ કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી. પિડીતાનો ન્યાય આપો, આરોપીઓને વહેલી તકે પોલીસ પકડે તેવા પોષ્ટરો સાથે નીકળેલી રેલીના પગલે ટ્રાફિક વ્યવહાર ખોરવાઇ ગયો હતો. કલેક્ટર કચેરી ખાતે રેલી આવ્યા બાદ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું. આવેદન પત્રમાં આરોપીઓને વહેલીતકે ઝડપી પાડી તેઓને કડકમાં કડક સજા આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી