Publish Date: Thu, 05 Dec 2019 (13:43 IST)
Updated Date: Thu, 05 Dec 2019 (14:04 IST)
આઈએમબીએલ નજીકથી સૌરાષ્ટ્રની ૩ બોટો સાથે ૧૮ માછીમારોના પાક. મરીન દ્વારા અપહરણ કરવામાં આવ્યા હોવાનું પોરબંદરના માછીમાર આગેવાનોએ જણાવ્યું છે. જેમાં કોસ્ટગાર્ડે આંતરરાષ્ટ્રીય જળસીમાથી દુર રહીને માછીમારી કરવા સુચના આપી છે, તો માછીમારીની નવી સીઝન શરૂ થયા પછી અપહરણનો પ્રથમ બનાવ હોવાનું જાણવા મળ્યું છે. પોરબંદરના માછીમાર આગેવાન મનીષભાઈ લોઢારીએ આપેલી માહિતી પ્રમાણે, માંગરોળ, ઓખા અને સલાયાની ૩ ફીશીંગ બોટો આંતરરાષ્ટ્રીય જળસીમા નજીક માછીમારી કરતી હતી ત્યારે ત્રાટકેલી પાક. મરીને આ ત્રણેય બોટ અને તેના ૧૮ ખલાસીઓને બંદીવાન બનાવી લીધા હતા. જો કે, તેઓ હજુ સુધી પાકિસ્તાન પહોંચ્યા નથી, ત્યાં પહોંચશે પછી વિસ્તૃત માહિતી મળશે. પોરબંદરના મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકે માછીમારો, બોટ માલીકો, બોટ એસો., પીલાણા એસો. તથા ખારવા સમાજના અગ્રણીઓને જણાવ્યું છે કે, ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા મળેલી માહિતી મુજબ ભારતીય બોટના અપહરણ માટે આઈએમબીએલ નજીક પાકિસ્તાની મરીન સિક્યુરીટી એજન્સીની હાજરી હોવાનું જાણવા મળ્યું છે. તેથી જે કોઈપણ બોટો આ આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમા આસપાસ નોફી શીંગ ઝોનમાં માછીમારી કરતી હોય તો તેઓએ તુરંત જ સુરક્ષીત વિસ્તારમાં પાછી બોલાવી લેવામાં આવે તેવું જણાવાયું છે.