Publish Date: Thu, 07 Nov 2019 (12:18 IST)
Updated Date: Thu, 07 Nov 2019 (12:20 IST)
રાજ્ય સરકાર દ્વારા આયોજિત સેવા સેતુના કાર્યક્રમો માં નાગરિકોનો નબળો પ્રતિસાદ મળતો હોવાના અહેવાલ બાદ સેવા સેતુ સરકાર માટે ચિંતાનો વિષય બન્યો છે.
સેવાસેતુ ના પાંચમા તબક્કામાં ગામડા તેમજ શહેરી વિસ્તારો માં નાગરિકો નો મોળો પ્રતિસાદ મળતા સરકાર ચોંકી ઉઠી છે. અને આ મુદ્દે મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી એ કેબિનેટ બેઠકમાં ખાસ સમિક્ષા કરી મંત્રીઓ તેમજ સંલગ્ન વિભાગના અધિકારીઓ ને મહત્વ ના કેટલાક સૂચનો કર્યા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
રાજ્યની વર્તમાન સરકારે પ્રત્યેક જિલ્લામાં અત્યાર સુધી યોજેલા સેવા સેતુ ના તબક્કાવાર કાર્યક્રમો અને તેમાં નાગરિકો તેમજ લાભાર્થીઓની ઉપસ્થિતિ અંગે વિશેષ અહેવાલ માંગવામાં આવ્યો છે. ઉપરાંત કેટલો વિસ્તાર આવરી લેવામાં આવ્યા તેની માહિતી પણ માંગવામાં આવી હોવાના અહેવાલ છે.
સેવા સેતુ ને સફળ બનાવવા પ્રભારી મંત્રીઓ પણ કાર્યક્રમમાં ફરજિયાત હાજર રહે અને તે પણ સેવા સેતુના લાભાર્થીઓની સંખ્યા અને મળેલા પ્રતિસાદને નો વિશેષ અહેવાલ બનાવી સરકારને આપે તેવો આગ્રહ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે.
અત્રે નોંધનીય છે કે સેવા સેતુ ના પાંચમા તબક્કા દરમ્યાન નાગરિકોની ઉદાસીનતા સરકાર માટે ચિંતાનો મુદ્દો બન્યો છે. ત્યારે શહેરી અને ગ્રામ્ય સ્તરે વહીવટી તંત્ર દ્વારા સેવા સેતુ કાર્યક્રમ ના અમલને લઇને જનજાગૃતિ માટેના ઉપાયો માટેની ચર્ચા પણ કેબિનેટ બેઠકમાં થઇ હોવાનું જાણવા મળ્યું છે.