Publish Date: Fri, 07 Feb 2020 (11:31 IST)
Updated Date: Fri, 07 Feb 2020 (11:34 IST)
ગુજરાતમાં આદિવાસી સમાજના ખોટા પ્રણાણપત્રોનો વ્યાપક ઉપયોગ થઇ રહ્યો હોવાના મુદ્દે ખૂદ ભાજપના જ સાસંદ મનસુખ વસાવા સહિતના આગોવાનો અને આદિવાસી સમાજ દ્વારા છેલ્લા કેટલાક દિવસથી ગાંધીનગરમાં આદોલન ચાલી રહ્યું છે ત્યારે હવે સરકારે એવી જાહેરાત કરી છે કે, આવાં એક પણ ખોટા આદિવાસી સમાજના પ્રમાણ પત્રો માન્ય રાખવામાં આવશે નહીં. રાજ્ય પ્રધાન મંડળની બેઠકમાં આદિવાસી સમાજની અનામતનો લાભ લેવા માટે કેટલાક લોકો દ્વારા ખોટી રીતે આદિવાસી પ્રમાણપત્રો મેળવવામાં આવતા હોવાનો મુદ્દો ચર્ચાવામાં આવ્યો હતો ત્યારે બાદ રાજ્યના આદિજાતિ વિકાસ પ્રધાન ગણપતસિંહ વસાવાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા ગૃહવિભાગ હસ્તકની લોકરક્ષક દળ (એલ.આર.ડી.)ની ભરતીમાં આદિવાસીઓના જાતિ પ્રમાણપત્ર અંગે ઊભા થયેલા પ્રશ્ર્નો સંદર્ભે આજે રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં એલ.આર.ડી.ની ભરતીમાં એકપણ ઉમેદવારનું એલ.આર.ડી. કેસમાં માટેનું ખોટું પ્રમાણપત્ર ચલાવી લેવામાં આવશે નહી અને આ અંગે જો કોઇને પણ વાંધો હોય તો તે તમામ વ્યકિતઓ સાથે રાજ્ય સરકાર ખુલ્લા મને ચર્ચા કરવા તત્પર છે. ખોટા આદિવાસીઓ સામે કડક કાર્યવાહી કરીને એક પણ ખોટા આદિવાસીના જાતિ પ્રમાણપત્ર માન્ય નહી કરવા મુખ્ય સચિવને આ અંગે મુખ્ય પ્રધાન દ્વારા સૂચનાઓ આપી દેવાઇ છે. વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતના કેટલાક ભાગોમાં બનેલ ખોટા જાતિના દાખલાઓ અંગેની ઘટનાઓ સરકારના ધ્યાને આવી હતી. જેથી આ અંગે કાયદો પણ પસાર કરીને તેનો અમલ પણ શરૂ કર્યો છે.