કચ્છ -મુંબઈ વચ્ચે દોડતી ટ્રેનોમાં મુસાફરો અસુરક્ષિત, ચોરી-લૂંટફાટ બાદ હવે હત્યાનો બનાવ
Publish Date: Wed, 09 Jan 2019 (12:10 IST)
Updated Date: Wed, 09 Jan 2019 (12:14 IST)
કચ્છનો મુંબઈ સાથે રોટી-બેટીનો વ્યવહાર હોવાથી રોજ સેકંડો લોકોનું આવાગમન રહે છે. જેમાં મહત્તમ ઉપયોગ ટ્રેનના માધ્યમનો કરવામાં આવે છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી કચ્છથી મુંબઈ સુધી દોડતી ટ્રેનો ગુનેગારો માટે રેઢું પડ બની ગઈ હોય તેવું ચિત્ર અનેક બનેલા ગુનાઓ બાદ ખુન સુધીના ઘટેલા ઘટનાક્રમને જોતા સાબિત થયું છે.ગુજરાતમાં પણ બિહારરાજ ચાલી રહ્યું હોય તેવું હવે ચાલતી ટ્રેનમાં ચોરી,લુંટ બાદ ગંભીર કહી શકાય તેવી ખુનની બનેલી ઘટના પરથી ઉપસ્યું છે.
છેલ્લા ૬ માસમાં જ કચ્છ-મુંબઈ વચ્ચે દોડતી સાયજીનગર અને કચ્છ એક્સપ્રેસ ટ્રેનમાં ત્રણથી વધુ વખત લાખોની માલમત્તા ચોરી થયાનો બનાવ બની ચુક્યા છે ત્યારે પણ આ ટ્રેનોની સુરક્ષા માટે ગંભીર પગલા ભરાય તેવી માંગ ઉઠી હતી. કચ્છમાંથી અનેક સમાજના લોકો મુંબઈમાં સ્થાયી થયેલા છે જેઓ ઉત્સવોમાં કે માઠા પ્રસંગોમાં ભાગ લેવા આવતા હોય છે. ત્યારે દાગીના કે નાણા સહિતની લાખોની માલમત્તા સાથે લઈ આવતા હોય તે સ્વાભાવિક છે. જેનો ફાયદો ઉઠાવીને અસામાજિક તત્વો દ્વારા આ ટ્રેનને વારંવાર નિશાન બનાવવામાં આવે છે.
જે મુદે ઉઠેલી અનેક ફરીયાદો બાદ પણ આજદિન સુધી પદાધિકારી કે તંત્ર દ્વારા સુરક્ષાનો મુદો ગંભીરતાથી લીધો ન હતો. સુરક્ષામાં જોવામળતા ગાબડાનો લાભ લઈને જ ટ્રેનમાં ગેરકાયદે ચડેલો કોઈ અસમાજિક તત્વ કચ્છના રાજકારણીની હત્યા નિપજાવવાનું સાહસ કરી શક્યો છે. આ ઉપરાંત કચ્છને અન્ય રાજ્યો સાથે જોડતી ટ્રેનમાં પણ આવા અનેક ગંભીર ગુના બની ચુક્યા છે. જેમાં ગયા સપ્તાહે જ બે યુવાનોને કેફી પીણું પીવડાવીને લુંટી લેવામાં આવ્યા હતા. મુસાફરોના જણાવ્યા મુજબ આખી ટ્રેનમાં જે પોલીસ જવાનો પહેરો ભરતા હ ોય છે તે ભાગ્યે જ મુસાફરી દરમિયાન ડબ્બામાં પેટ્રોલીંગ કરતા જોવા મળતા હોય છે. જેના કારણે ગુનેગારોને રેઢું પડ મળી જતું હોવાની ફરીયાદ ઉઠી છે.
webdunia
Publish Date: Wed, 09 Jan 2019 (12:10 IST)
Updated Date: Wed, 09 Jan 2019 (12:14 IST)
આગળનો લેખ