Publish Date: Fri, 04 Jan 2019 (11:55 IST)
Updated Date: Fri, 04 Jan 2019 (11:57 IST)
પોરબંદરથી રાજ્યવ્યાપી ગરીબ કલ્યાણ મેળાની 11મી શ્રેણીનો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રારંભ કરાવ્યો હતો. આ તબક્કે મુખ્યમંત્રીએ આક્ષેપ કર્યો હતો કે, કોંગ્રેસના રાજમાં ગરીબોની યોજનામાં વચેટિયા પ્રથા હતી, અમે ગરીબોના ઉત્થાન માટે વચેટિયાને નાબૂદ કર્યા છે.
આ વર્ષના ગરીબ કલ્યાણ મેળામાં ઉજ્જવલા યોજના અંતર્ગત ગેસના કનેકસન મેળવેલી 2 લાખ જેટલી બહેનોને સ્ટેઇનલેસ સ્ટીલના 5 લીટરના પ્રેશર કૂકર આપીને સમયની બચત અને પૌષ્ટિક ખોરાક રાંધવાની તક આપી છે તેમ પણ જાહેર કર્યુ હતુ.
આ દરમિયાન CM રૂપાણીનું વધુ એક વિવાદાસ્પદ નિવેદન પણ આપ્યું હતું. CMએ પોલીસ વિભાગને આડકતરી રીતે ભ્રષ્ટ ગણાવ્યો હતો. અને કહ્યું હતું કે, ‘હવે તમારે પોલીસને પૈસા દેવા નહીં પડે. મારી સરકારે હોટેલ સંચાલકોને લાઈસન્સમાંથી મુક્તિ આપી છે’. તમને જણાવી દઇએ કે, અગાઉ મહેસૂલ વિભાગમાં ભ્રષ્ટાચારનું નિવેદન વિજય રૂપાણીએ આપ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, પોરબંદરમાં મુખ્યમંત્રીએ રાજ્યના 1600 કી.મી. લાંબા દરીયા કિનારે રહેલી વિશાળ જળ રાશિનો પીવાના પાણી તરીકે ઉપયોગ કરવા રાજ્યમાં 10 જેટલા ડીસેલીનેશન પ્લાન્ટ બનાવવાના સેવા અભિગમની ભૂમિકા આપી હતી. આવો જ ડીસેલીનેશન પ્લાન્ટ પોરબંદર ખાતે દૈનિક 20 એમ.એલ.ડી. ક્ષમતા સાથે શરૂ કરવાની નેમ પણ તેમણે દર્શાવી હતી.