Publish Date: Mon, 25 Jun 2018 (12:10 IST)
Updated Date: Mon, 25 Jun 2018 (12:16 IST)
રાજકીય પક્ષો પોતાની રાજનીતિ માટે જાતીવાદનું જેર ફેલાવી રહ્યા હોવાનું હાર્દિક પટેલે નિવેદન આપ્યું હતું. હાર્દિકે કહ્યુંકે હિંદુમુસ્લિમો વચ્ચેના સાંપ્રદાયીક તણાવનો ફાયદો ઉઠાવવા માટે મંદિરની બહાર ગાય અને મસ્જીદની બહાર ભુંડને નાખતા હોય છે. જેથી વેરઝેર પેદા થાય અને તેઓ પેદા થયેલી આ આગમાં પોતાનાં રાજકીય રોટલાઓ શેકી શકે. પરંતુ આજે હિંદુ- મુસ્લિમે લડવાની જરા પણ જરૂર નથી. કારણ કે આજે હિંદુ કે મુસ્લિમ કોઇ પર ખતરો નથી. નેતાઓ માટે હિંદૂ ધર્મનો ઝંડો લઇને ફરનાર પ્રવિણ તોગડિયાની આજે શું પરિસ્થિતી થઇ તે સૌ કોઇ જોઇ શકે છે. નેતાઓએ પોતાનો સ્વાર્થ સધાઇ ગયા બાદ આજે તેને ફેંકી દીધા છે. અત્રે ઉલ્લે્ખનીય છેકે હાર્દિક કરમસદ ખાતે આવેલા મેમોરિયલ હોલમાં પાટીદાર સામાજીક સંગઠન ચિંતન બેઠકમાં હાજરી આપવા માટે આવ્યો હતો. હાર્દિકે પોતાના સંબોધન દરમિયાન કહ્યું કે, ચરોતરનાં ઘણા પાટીદારો વિદેશમાં છે. ઘણા જવાની તૈયારીમાં છે તેથી તેઓ પોલીસ કેસની બીકે આંદોલનથી દુર ભાગી રહ્યા છે. જો તેઓ પાસના આંદોલનમાં જોડાશે તો તેઓ વિદેશ નહી જઇ શકે. જ્યારે કેટલાક એવું વિચારી રહ્યા છેકે આપણે ક્યાં જરૂર છે. પરંતુ હવે સમાજને અનામતની તાતી જરૂર છે. આ માટે સમાજે આગળ આવવું જ પડશે. પોતાનાં ભાઇઓનાં ભવિષ્ય માટે સમાજે આગળ આવવું પડશે. આ કાર્યક્રમનાં પાસનાં હોદ્દેદારો ઉપરાંત કેટલાક કોંગ્રેસી આગેવાનોએ પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી.