ફી નિયમન મુદ્દે શાળા સંચાલકોને વચગાળાની રાહત, સરકારને ઝટકો
Publish Date: Mon, 15 Jan 2018 (15:52 IST)
Updated Date: Mon, 15 Jan 2018 (15:54 IST)
ફી નિયમન મામલે દેશની સર્વોચ્ચ કોર્ટ સુપ્રીમ કોર્ટે આજે ખાનગી શાળા સંચાલકોને વચગાળાની રાહત આપી છે. જેને પગલે સરકાર 2 સપ્તાહ સુધી કોઈ પગલું લઈ શકશે નહીં. સુપ્રીમે ગુજરાત સરકારને નોટિસ પણ પાઠવી છે. પહેલી ફેબ્રુઆરીએ સુપ્રીમમાં આ મામલે વધુ સુનાવણી હાથ ધરાશે. જેમાં સ્ટે મુદ્દે સુનાવણી થશે. સુપ્રીમે એમ પણ કહ્યું કે જેશાળાઓએ ફી નિયમન કમિટીને અત્યાર સુધી એફિડેવિટ આપી નથી તેમણે આગામી સુનાવણી સુધી તે આપવાની કોઈ જરૂર નથી. ત્યાં સુધી રાજ્ય સરકરા કોઈ પગલાં લઈ શકશે નહીં. તથા જે શાળાઓએ એફિટેવિટ આપી દીધી છે તેમનું વેરિફિકેશ ચાલુ રહેશે. આ અગાઉ ગુજરાત હાઈકોર્ટે વાલીઓના પક્ષમાં ચુકાદો આપીને સંચાલકોને ઝટકો આપ્યો હતો તથા ફી નિયમનને યોગ્ય ગણાવ્યું હતું. 27 ડિસેમ્બરના રોજ ગુજરાત હાઇકોર્ટમાં રાજ્ય સરકારના ફી નિયમનના કાયદાને પડકારતી વિવિધ અરજીઓ પર ચુકાદો આવ્યો હતો. આ ચુકાદામાં હાઇકોર્ટે જણાવ્યું છે કે ખાનગી શાળાઓ હવે ફીના નામે લૂંટ નહીં ચલાવી શકે તેમજ ફી અધિનિયમ સમિતી બંધારણીય છે. હવે 2018થી નવા સુધારા લાગુ કરી દેવામાં આવશે. ફી નિયમન યોગ્ય છે અને સ્કૂલો હવે નફાખોરી નહીં કરી શકે. હાઇકોર્ટે આ મામલે જણાવ્યું હતું કે ફી મામલે સરકારનું નોટિફિકેશન યોગ્ય છે. રાજ્ય સરકારના મહત્વકાંક્ષી ફી નિયમન કાયદાને એક પછી એક શાળાઓના સંચાલકો દ્વારા ગુજરાત હાઇકોર્ટ સમક્ષ પડકારતી અરજી કરવામાં આવી હતી જેમાં રાજ્ય સરકારને નોટિસ પણ પાઠવવામાં આવી હતી જે મામલે રાજય સરકારે હાઇકોર્ટમાં જવાબ રજુ કર્યો હતો જેમાં જણાવ્યું હતુ કે ફી નિર્ધારણ કાયદો શાળાઓની ફી નક્કી કરવાની સ્વતંત્રતા ઉપર તરાપ મારનારો હોવાની રજૂઆત તદ્દન ખોટી છે. આ કાયદા હેઠળ ખાનગી શાળાઓને પોતાની ફી જાતે જ નક્કી કરવાનો હક છે અને તે અંગેનો પ્રસ્તાવ ફી કમિટીને મૂકવાનો છે. તે નક્કી કરશે. જ્યારે ફી નિયમન કાયદાને લઈ ને શાળા સંચાલકો એ હાઇકોર્ટ માં રજુઆત કરી હતી કે ફી નિયમન કમિટી બનાવી ને સરકાર શાળા સંચાલકોની હકની સ્વતંત્રતા પર તરાપ મારી રહી છે ઓલ ઇન્ડિયા પેરેન્ટ્સ એસોસિયેશન દ્વારા હાઇકોર્ટ સમક્ષ વધુ એક રિટ પિટિશન કરવામાં આવી હતી. જેમાં ફી કમિટીમાં વાલીઓને પ્રતિનિધિત્વ ના આપવાનો મુદ્દો ઉપસ્થિત કરાયો હતો. જેમાં જણાવ્યું હતું કે,‘સરકારે જે કાયદો બનાવ્યો છે તેની કમિટીમાં વાલીઓને સ્થાન જ આપ્યું નથી. સરકારના પ્રતિનિધિઓ એવા નિવૃત્ત જજો, ચાર્ટ્ડ એકાઉન્ટન્ટ્સ અને અધિકારીઓનો સમાવેશ કરાયો છે. જ્યારે વાલીઓને અવાજ જ અપાયો નથી. એટલું જ નહીં અનેક વાલીઓ એવા છે કે જેઓ ઉચ્ચ શ્રીમંત વર્ગમાંથી આવે છે. તેઓ પોતાના બાળકો માટે લાખ રૂપિયાની ફી ભરીને વધુ સુવિધા વાળી શાળાઓમાં તેમને મૂકવા માગે છે. ત્યારે સરકારે તેમને આ પ્રકારનો નિર્ણય લેતા અટકાવી શકે નહીં. આ તેમના મૂળભૂત બંધારણીય અધિકાર પર તરાપ સમાન છે.
આગળનો લેખ