Publish Date: Tue, 24 Mar 2020 (15:24 IST)
Updated Date: Tue, 24 Mar 2020 (15:26 IST)
રાજ્યમાં કોરોના વાયરસના કારણે પ્રવર્તેલી સ્થિતિને ધ્યાનમાં રાખતા સરકારે મોટો નિર્ણય કર્યો છે. સરકારે રાજ્યમાં ધોરણ 1-9નાં અને ધોરણ 11નાં વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય અમલમાં આવતા હવે આ વર્ષે શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના તમામ વિદ્યાર્થીઓને આગલા ધોરણમાં બઢતી આપવામાં આવશે. સરકારની જાહેરાત બાદ હવે આ વર્ષે અત્યારથી જ શાળાઓમાં ઉનાળાનું વેકેશન લાગુ પડી જશે. ગુજરાતમાં બોર્ડની પરીક્ષાઓ સમાપ્ત થઈ ગઈ છે ત્યારે આ નિર્ણય અમલમાં આવતા હવે સીધી ઉનાળું વેકેશન બાદ જ શાળા ખુલશે. રાજ્યમાં મુખ્યમંત્રી દ્વારા કોરોના વાયરસ સામે લડવા માટે તૈયાર કરવામાં આવેલી કોર કમિટીના સદસ્ય અને રાજ્યના માહિતી ખાતાના સચિવ અશ્વિની કુમારે આજે ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું કે રાજ્યની તમામ પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચરતર માધ્યમિક વિભાગની તમામ શાળાઓ બંધ રાખવામાં આવશે અને ધોરણ 1-9 અને 11નાં વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવશે.