Publish Date: Mon, 15 Jun 2020 (17:55 IST)
Updated Date: Mon, 15 Jun 2020 (17:46 IST)
ગુજરાતમાં રવિવારે રાત્રે સવા આઠ વાગ્યા આસપાસ ભૂકંપનો જોરદાર આંચકો અનુભવાયો હતો. જો કે ભૂકંપ બાદ પણ બીજા દિવસે આફ્ટશોક્સનો સીલસીલો યથાવત છે. સોમવારે લગફગ 14 જેટલા આફ્ટશોકથી ગુજરાતની ધરા ફરી ધ્રૂજતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. આ તમામ આફ્ટરશોક 1.4થી 4.6ની તિવ્રતા વચ્ચેના હોવાનું જણાયું હતું. રવિવારે રાત્રે ગુજરાતના અનેક ભાગોમાં ધરતીકંપનો જોરદાર આંચકો અનુભવાયો હતો જેની તિવ્રતા 5.3ની હતી. આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ ભચાઉ નજીકના વાંઢ ગામ પાસે હોવાનું સત્તાવાર રીતે જણાયું હતું. ત્યારબાદ સોમવાર પરોઢિયેથી બપોર સુધીમાં હળવા આફ્ટશોક્સનો દોર જોવા મળ્યો છે.ગાંધીનગર સ્થઇત ઈન્સ્ટિટ્યુટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચના (આઈએસઆર) ડેટા મુજબ સોમવાર બપોરના એક કલાક સુધીમાં 14 જેટલા આફ્ટશોક આ જ વિસ્તારમાં આવ્યા હોવાનું નોંધાયું છે. ભૂકંપ બાદ આફ્ટરશોક આવવા સામાન્ય છે અને સારી નિશાની છે. આઈએસઆરના વિજ્ઞાની સંતોષ કુમારે જણાવ્યું હતું કે, સોમવારે આવેલા કંપનનું અમે વિશ્લેષણ કરી રહ્યા છીએ કે તે નવી ફોલ્ટ લાઈનમાં આવેલો ભૂકંપ હતો કે પછી આફ્ટરશોક છે. હાલ પ્રાથમિક તપાસ ચાલી રહી છે અને વધુ વિગતો બાદમાં જાહેર થઈ શકશે. પ્રાપ્ત વિગતો મુજબ કચ્છના ભચાઉથી છ કિલોમીટરના અંતરે સોમવારે સવારે 10.02 કલાકે 3.7નો આફ્ટરશોક આવ્યો હતો. આ ઉપરાંત 4.6, 3.6, 3.1, 2.9, 2.5, 2.4, 1.7, 1.6 અને 1.4ની તિવ્રતાના આફ્ટરશોક પણ આવ્યા હતા. ધરતી ધ્રૂજતા સ્થાનિક લોકોમાં ભારે ફફડાટ ફેલાયો હતો અને લોકો ગભરાટમાં જીવ બચાવવા બહાર ખુલ્લામાં દોડી આવ્યા હતા. જો કે હજી સુધી ભૂકંપ કે આફ્ટરશોકથી કોઈ જાનહાની કે નુકસાનની વિગતો સામે આવી નથી.