Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ભાજપનો કરોડો ખર્ચીને પાટીદાર નેતાઓને ખરીદવાનો કારસો

ભાજપનો કરોડો ખર્ચીને પાટીદાર નેતાઓને ખરીદવાનો કારસો
, સોમવાર, 23 ઑક્ટોબર 2017 (12:40 IST)
વરૃણ પટેલ અને રેશમા પટેલ સહિતના પાસના નેતાઓ ભાજપમાં જોડાયા બાદ પાસના જ કન્વિનર નરેન્દ્ર પટેલે એવો ઘટસ્ફોટ કર્યો છે કે ભાજપમાં જોડાવવા રૃપિયા ૧ કરોડની ઓફર કરવામાં આવી હતી અને ૧૦ લાખ રૃપિયા ટોકન પેટે ચૂકવાયા હતા. આ ઘટનાના પગલે ગુજરાતના રાજકારણમાં હલચલ મચી જવા પામી છે. પાસના આ નેતાએ એવો પણ ધડાકો કર્યો કે મીડિયા સમક્ષ ભાજપમાં જોડાયો છું તેવું નિવેદન કરાયા બાદ ટોકન પેટેની રકમ ચૂકવાઇ હતી.

ભાઇબીજના દિવસે જ પાસના નેતા વરૃણ પટેલ અને રેશમા પટેલે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ સાથે બેઠક યોજી કેસરિયો ખેસ ધારણ કર્યો હતો.આ જ ઘટનાના બીજા દિવસે પાસના આગેવાનો ભાજપમાં જોડાયા હતા. અચાનક જ પાટીદાર નેતાઓ ભાજપમાં કેમ જોડાઇ રહ્યા છે તે અંગે ખૂદ પાટીદાર આંદોલનકારીઓ પણ મૂંઝવણમાં મૂકાયા હતા. પાસના કન્વિનર નરેન્દ્ર પટેલે કહ્યું કે, 'ખરેખર ભાજપમાં શું ચાલી રહ્યું તે જોવા મેં ભાજપમાં જોડાયેલા વરૃણ પટેલનો સંપર્ક કર્યો હતો. વરૃણ પટેલે મારફતે હું જીતુ વાઘાણી સહિતના ભાજપના આગેવાનોને મળ્યો હતો. મને ભાજપમાં જોડાવવા માટે વરૃણ પટેલ મારફતે ૧ કરોડ રૃપિયાની ઓફર કરવામાં આવી હતી. આ નક્કી થયા બાદ ભાજપના આગેવાનો મળવા ગાંધીનગર પહોંચ્યો હતો જ્યાં મીડિયા સમક્ષ ભાજપ તરફી નિવેદન આપ્યું હતું.' તેમણે એવું પણ કહ્યું કે ટોકન રૃપે મને ૧૦ લાખ આપવામાં આવ્યા હતા અને આવતીકાલે સોમવારે મને વધુ રૃ. ૯૦ લાખ આપવાનો વાયદો પણ કરવામાં આવ્યો હતો. નરેન્દ્ર પટેલનું કહેવું છે કે મને જે ટોકન પેટેની રૃ. ૧૦ લાખની રકમ મળી છે તે હું પાટીદાર અનામત આંદોલનમાં માર્યા ગયેલા શહીદોના પરિવારમાં વહેંચી દઇશ. તેમણે પત્રકાર પરિષદ યોજીને પાટીદાર નેતાઓને ખરીદવાનો પર્દાફાશ કરતા કહ્યું કે મારો જીવ રહેશે ત્યાં સુધી હું ભાજપ વિરોધી રહીશ એટલું જ નહીં ભાજપ જો આખી રીઝર્વ બેંક આપે તો પણ હું ખરીદાઇશ નહીં. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે વરૃણ પટેલ, રવિ પટેલ અને જીતુ વાઘાણીની હાજરીમાં આ આખો સોદો કરાયો હતો. મારી પાસે તેના પુરાવા અને રેકોર્ડિંગ છે. તેમણે એવી પણ ચીમકી આપી કે હું એડવોકેટની સલાહ લઇને કાયદેસરના પગલા ભરીશ. બીજી તરફ આમ આદમી પાર્ટીએ જીતુ વાઘાણી સહિતના આગેવાનો સામે પગલા ભરવાની માગણી કરી છે. જો કે વરૃણ પટેલે આરોપોને ફગાવ્યા હતા. ભાજપના નેતાઓ પાટીદારોને પોતાની તરફ આકર્ષવા સામ-દામ-દંડ-ભેદની નીતિ અપનાવી છે, જેનું સ્ટિંગ ઓપરેશન કરીને પાટીદારોએ ભાજપને મુશ્કેલીમાં ભેરવી દીધું છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

video- વડોદરામાં આશાવર્કરે પીએમ મોદી પર રોડ શો દરમિયાન બંગડીઓ ફેંકી