Publish Date: Mon, 23 Oct 2017 (12:18 IST)
Updated Date: Mon, 23 Oct 2017 (12:24 IST)
ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલનકારીઓ હવે બે ભાગમાં વહેંચાઈ ગયા છે. ભાજપે હાર્દિક પટેલને એકલો પાડવા માટે નવો દાવ ખેલ્યો છે. ત્યારે હવે ભાઇબીજની મોડી રાત્રે હાર્દિક પટેલના ખાસ સાથીદાર એવાં વરૃણ પટેલ અને રેશમા પટેલે કેસરિયો ખેસ ધારણ કરી લીધો હતો. ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક વખતે જ આ બંન્ને યુવા પાટીદાર આંદોલનકારીઓએ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ સાથે બેઠક યોજી હતી ત્યાર બાદ સત્તાવાર રીતે ભાજપમાં જોડાયા હતાં. પાસમાં ભંગાણ પડાવવામાં ભાજપ સફળ રહ્યું છે. અનામત આંદોલનકારી વરૃણ પટેલ અને રેશમા પટેલ શનિવારે રાત્રે અચાનક જ અમદાવાદમાં શાતિનિકેતન પાર્ટીપ્લોટ પહોંચ્યા હતાં. જયાં તેઓએ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી,નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલને મળ્યા હતાં. ભાજપના પ્રદેશ નેતાઓની ઉપસ્થિતીમાં વરૃણ-રેશમા પટેલ ઉપરાંત રવિ પટેલ સહિતના પાસના નેેતાઓ ભાજપમાં જોડાયાં હતાં. તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે, કોઇપણ પક્ષ ઓબીસી અનામત આપી શકે તેમ નથી. રાહુલ ગાંધીને પણ અમે પત્ર લખીને આ મુદ્દે સ્પષ્ટતા કરવા રજૂઆત કરી હતી તેમ છતાંયે તેમણે કોઇ ફોડ પાડયો નહીં.કોંગ્રેસ માત્ર પાટીદારોને ઉપયોગ જ કરવા માંગે છે. પાટીદારોના મામલે ભાજપ સરકારે જે પગલાં લીધાં છે તે યોગ્ય છે એટલે અમે ભાજપમાં જોડાયા છીએ. સરકારે હજુય પાટીદાર સમાજના ઉત્કર્ષના કામો કરવા માટે તૈયારીઓ દર્શાવી છે. રવિવારે પણ પાસના મહેસાણાના કન્વિનર સહિત અન્ય આંદોલનકારીઓ ભાજપમાં જોડાયાં હતાં. આમ,પાટીદારોને ભાજપ તરફ વાળવાના પ્રયાસો થઇ રહ્યાં છે. હજુય ઘણાં પાટીદાર આંદોલનકારીઓ ભાજપમાં જોડાય તે દિશામાં પ્રયત્નો ચાલી રહ્યાં છે. વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવતાં જ યુવા પાટીદાર આંદોલનકારીઓનુ ખરીદવેચાણ શરૃ થયું છે. હાર્દિક પટેલના ખાસ ગણાતાં વરૃણ પટેલ અને રેશ્મા પટેલે ભાઇબીજની મોડી સાંજે અચાનક કેસરિયો ખેસ ધારણ કરી લીધો હતો પરિણામે રાજ્યભરમાં પાટીદારો રોષે ભરાયાં હતાં. પાટીદારોએ પૂતળા બાળીને વિરોધ વ્યક્ત કર્યો હતો. અનામત આંદોલન ચલાવી રહેલાં પાટીદાર આંદોલનકારીઓમાં પણ હવે ભાગલા પડી રહ્યાં છે. હાર્દિક પટેલના સાથીઓ સાથ છોડવા માંડયા છ ત્યારે ખુદ પાટીદારો જ એવો આક્ષેપ કરી રહ્યાં છેકે, ભાજપની શામ,દામ,દંડભેદની નિતીનો યુવા આંદોલનકારીઓ ભોગ બની રહ્યાં છે. એટલુ જ નહીં, સોશિયલ મિડીયામાં વરૃણ પટેલ અને રેશમા પટેલે કેટલાં રૃપિયામાં ભાજપે ખરીદ્યાં છે તેની કોમેન્ટો થવા માંડી છે. આ ઉપરાંત આ બંને આંદોલનકારીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ વિરૃધ્ધ કરેલી ટિપ્પણીઓના વિડીયો પણ વાયરલ થયાં છે. વરૃણ પટેલ તો ફેસબુકથી માંડીને વોટ્સએપ ગુ્રપમાંથી ડિલીટ થવા મજબૂર બન્યો છે. વરૃણ પટેલ,રેશમા પટેલની સાથે સાબરકાંઠાના રવિ પટેલ પણ મોડી સાંજે ભાજપમાં સત્તાવાર રીતે જોડાયા હતાં જેના પગલે ભાઇબીજની મોડી રાત્રે હિંમતનગર,વઢવાણ,બોટાદ,વિરમગામ,બોટાદમાં સમાજના ગદ્દારોના સૂત્રો સાથે પાટીદારોએ પૂતળાદદન કરી વિરોધ કર્યો હતો. ચાણસ્મા,મહેસાણા અને પાટણમાં તો પાટીદારોએ આ બનં પાસના નેતાઓ પર પ્રવેસબંધી ફરમાવી છે.એવી ચિમકી ઉચ્ચારવામાં આવી છેકે, જો વરૃણ પટેલ અને રેશમા પટેલ આ શહેરોમાં આવશે તો થાળી-વેલણ સાથે વિરોધ કરવામાં આવશે. આમ, પાસમાં ભંગાણ પડાવવામાં ભાજપ સફળ થયું છે.