દાહોદમાં એક જ પરિવારના 6 લોકોની લાશ મળતા ચકચાર
Publish Date: Fri, 29 Nov 2019 (13:56 IST)
Updated Date: Fri, 29 Nov 2019 (13:58 IST)
દાહોદ જિલ્લામાં સંજેલી નજીક તરખંડા ખાતે એક જ પરિવારના છ સભ્યોની લાશ મળતા ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક દ્રષ્ટિએ સામૂહિક હત્યાની આશંકા સેવાઈ રહી છે. તરખંડામાં એક જ પરિવારના છ વ્યક્તિઓની ગળા કપાયેલી હાલતમાં લાશ મળતા ગામમાં હો હા મચી ગઈ હતી. દાહોદના એસપી હિતેશ જોઈશરના જણાવ્યા મુજબ તમામ મૃતકો એક જ પરિવારના હોવાનું મનાઈ રહ્યું છે. મૃતકોમાં પતિ, પત્ની અને તેમના ચાર સંતાનો હોવાની સંભાવના છે. જો કે પોલીસ તેમની ઓળખ કરી રહી છે. ગળા કપાયેલી હાલતમાં લાશો મળતા પોલીસના ધાડે ધાડા ઉતારી દેવામાં આવ્યા છે. સંજેલીના અંતરિયાળ ગામ તરખંડામાં સંભવિત હત્યા કરાઈ છે તે પરિવાર મજૂરી કરતો હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું છે. પોલીસના મતે પાંચ મૃતદેહ ગામમાં રહેલા કાચા મકાનમાંથી મળી આવ્યા છે જ્યારે એક મૃતદેહ ખેતરમાંથી મળી આવ્યો છે. પોલીસ હત્યાની આશંકાની દિશામાં તપાસ કરીને વધુ વિગતો મેળવવા પ્રયાસ કરી રહી છે.
આગળનો લેખ