Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ત્રણેય પડોસી રાજયોમાં કોંગ્રેસી સરકાર રચાતા ગુજરાતમાં હવે શુંની ચર્ચાઓ વધી

ત્રણેય પડોસી રાજયોમાં કોંગ્રેસી સરકાર રચાતા ગુજરાતમાં હવે શુંની ચર્ચાઓ વધી
, શુક્રવાર, 29 નવેમ્બર 2019 (12:20 IST)
લોકસભાની ચૂંટણીના છ માસ અગાઉ યોજાયેલી વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપએ ગુજરાતના પડોસી રાજયો પૈકી મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં સતા ગુમાવી હતી, અને કોંગ્રેસ સતારૂઢ થઈ હતી. હવે મહારાષ્ટ્ર પણ ભાજપના હાથમાંથી સરી જતાં ભાજપ શાસન ધરાવતું ગુજરાત બિનભાજપ સરકારોના શાસનવાળા પડોસી રાજયોથી ઘેરાઈ ગયું છે, અને એની ગુજરાત પર સીધી અસર પડી શકે છે.
મધ્યપ્રદેશમાં કોંગ્રેસની કમલનાથ સરકારે સરદાર સરોવર ડેમ પુરી સપાટીથી ભરવા સામે વાંધો લઈ નર્મદા કંટ્રોલ ઓથોરીટીના વટારા ખટખટાવ્યા હતા. એક તબકકે બન્ને રાજયો સામસામે આવી ગયા હતા અને મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આકરા શબ્દોમાં મધ્યપ્રદેશની કોંગ્રેસ સરકાર નર્મદા પ્રશ્ને રાજકારણ રમતી હોવાની ઝાટકણી કાઢી હતી. સારા ચોમાસાના કારણે મધ્યપ્રદેશને ત્યાં ઈન્દિરા સાગર ડેમમાંથી સતત પાણી છોડવાની ફરજ પડી હતી, અને વિવાદ પુરો થયો હતો, પણ આગામી વર્ષમાં ચોમાસુ સંતોષકારક ન નીવડે તો નર્મદાના પાણી છોડવા- ન છોડવા વિષે બન્ને રાજયો વચ્ચે ચકમક ઝર્યા કરે તેવી પુરી શકયતા છે. મહારાષ્ટ્રમાં હવે શિવસેના, એનસીપી અને કોંગ્રેસની મિશ્ર સરકાર રચાતા અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેકટના ભાવિ સામે સવાલ ઉભા થયા છે. શપથવિધિના આગલા જ દિવસે શિવસેનાએ સ્પષ્ટ કર્યું છે કે બુલેટ ટ્રેન પ્રોજેકટ તેની અગ્રતા નથી. સમજુતી મુજબ મહારાષ્ટ્રએ બુલેટ ટ્રેન માટે 5000 કરોડ જેટલું ફંડ આપવાનું છે, આ ઉપરાંત ટર્મિનલ બનાવવા 300 એકર જેટલી જમીન આપવાની છે. અગાઉની ભાજપ સરકાર તમામ મુદે સંમત થઈ હતી, પણ શિવસેના તેનો વિરોધ જાહેર કરી ચૂકી છે. અગાઉના અહેવાલો મુજબ મહાવિકાસ અઘાડી બુલેટ ટ્રેન પ્રોજેકટ પડતો નહીં મુકે, પણ નાણાકીય જવાબદારી ઉઠાવવા ઈન્કાર કરી કેન્દ્રને ખર્ચ ભોગવવા તેમજ રેલવેને તેની જમીન પર ટર્મિનલ બાંધવા કરી શકે છે.
યુતિના નેતાઓના જણાવ્યા મુજબ તે બુલેટ ટ્રેન પ્રોજેકટનું ફંડ ખેડુતોના કલ્યાણ માટે વાપરવા માંગે છે. આ ઉપરાંત મુંબઈમાં રહેતી ગુજરાતીઓની મોટી વસતી પર એક જાતનું માનસિક દબાણ રહેશે. ભૂતકાળમાં અનેક પ્રસંગોએ શિવસેના અને રાજ ઠાકરેની મનસેએ ગુજરાત અને ઉતર ભારતના લોકો વિરુદ્ધ ઝેર ઓકવું હતું. મુંબઈના ગુજરાતીએ ભાજપના ટેકેદારો છે, અને શિવસેનાના ઉમેદવારોને ભાજપ-મોદીના નામે મત આવ્યા હતા. શિવસેના અને અન્ય પક્ષો પરપ્રાંતીયો વિરુદ્ધ કેવું વલણ અપનાવે છે તે જોવું રહ્યું. આ ઉપરાંત ગુજરાતમાં દારુબંધી છતાં ઘરે ઘરે દારુ પીવાય છે એવી રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતની ટિપ્પણીની મુખ્યપ્રધાન અને ભાજપના નેતાઓ છંછેડાયા હતા, અને ગેહલોત સામે ગુજરાત વિરોધી વલણ અપનાવવાનો આરોપ મુકયો હતો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રાજ્યમાં જે વિસ્તારમાંથી નશીલા પદાર્થ પકડાશે ત્યાંના પી.આઇ.ને સસ્પેન્ડ કરાશે