ગુજરાત માટે રાહતના સમાચારઃ- દમણ-મહારાષ્ટ્ર વચ્ચે 110 કિમીની ઝડપે વાવાઝોડું ટકરાશે
Publish Date: Tue, 02 Jun 2020 (14:49 IST)
Updated Date: Tue, 02 Jun 2020 (14:50 IST)
અરબી સમુદ્રમાં ઉદભવી રહેલું નિસર્ગ વાવાઝોડું સિવિયર સાયક્લોનમાં પરિવર્તિત થવાની શક્યતા દેખાઇ રહી છે. જો કે હવામાન વિભાગે આજે અપડેટ આપતા કહ્યું કે, હવે વાવાઝોડું ગુજરાતમાં ટકરાશે નહીં અને દમણ-મહારાષ્ટ્ર વચ્ચે 110 કિમીની ઝડપે વાવાઝોડું ટકરાશે. ડિપ ડિપ્રેશન આગામી 12 કલાકમાં વાવાઝોડામાં પરિવર્તિત થશે. ડિપ ડિપ્રેશન 6 કલાકે 11 કિમીનું અંતર કાપે છે, સુરતથી 710 કિમી દૂર છે. તેમજ ભાવનગર, અમરેલીના 50 ગામ સાથે સૌરાષ્ટ્ર અને દ.ગુજરાતના 159 ગામોને એલર્ટ કરાયા છે. દક્ષિણ ગુજરાતના દરિયા કિનારે યલો એલર્ટ છે. માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના આપવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં 70થી 90 કિમીની ઝડપે પવન સાથે ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવતા તંત્ર સાબદુ થઇ ગયું છે. સુરત જિલ્લામાં રહેતા લોકોને સંભવિત સંકટ સામેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. સુરતથી 900 કિમી દુર અરબ સાગરમાં ઉદભવેલી ડિપ્રેશન સિસ્ટમ આગામી 24 કલાકમાં સાઇક્લોન સ્ટ્રોમ તરીકે વિકસિત થવાની સંભાવના રહેલી છે અને વાવઝોડું તા.2 જુનની રાત્રે દમણ અને મહારાષ્ટ્રના હરિહરેશ્વર રાયગઢ વચ્ચેથી પસાર થવાની શક્યતા રહેલી છે. જેની અસર દક્ષિણ ગુજરાત પર રહેશે તા.2 અને 3 જુને ઘણી જગ્યાએ ભારેથી અતિભારે વરસાદની આગાહી રહેશે. સુરત જિલ્લામાં 3 જૂને સાંજે 70 કિમીથી લઇને 90 કિમીની ઝડપે પવન ફુંકાશે. માછીમારોને તા. 4 જુન સુધી દરિયો નહીં ખેડવા માટે સુચના આપવામાં આવી છે. સુરતમાં એક NDRF અને SDRFની એક એક ટીમ સુરતમાં તૈનાત કરી દીધી છે. વાવાઝોડાની પરિસ્થિતિને ધ્યાને લઇને જિલ્લા કલેકટરે દરિયો ખેડવા ગયેલા માછીમારોને પાછા બોલાવી લીધા છે. જ્યારે કોઇ માછીમાર હજુ હોય તો તેને પરત આવવાની સુચના આપવામાં આવી છે. તેમજ ડુમસ, સુવાલી, ડભારી દરિયા કાંઠે જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
આગળનો લેખ