Publish Date: Mon, 30 Mar 2020 (13:42 IST)
Updated Date: Mon, 30 Mar 2020 (13:49 IST)
રાજ્યમાં કોરોનાના 69 પોઝિટિવ કેસ નોંધાયા છે અને 6 લોકોના મોત થઈ ગયા છે. જ્યારે અમદાવાદ શહેરમાં 23 પોઝિટિવ કેસ સામે આવ્યા છે અને ત્રણના મોત થઈ ગયા છે. હાલની મેડિકલ ઈમરજન્સીને પહોંચી વળવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અર્બન હેલ્થ સોસાયટી દ્વારા 354 મેડિકલ અને 354 પેરા મેડિકલની કરાર આધારિત ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જો કે વોક ઈન ઈન્ટરવ્યુ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગના લીરેલીરા ઉડ્યા હતા. ઈન્ટરવ્યુ આપવા આવેલા ઉમેદવારોએ ઝેરોક્ષની દુકાન અને મ્યુનિસિપલ કોર્પોરેશનના મુખ્ય આરોગ્ય અધિકારીની કચેરી બહાર જ મોટી ભીડ જામી હતી. પહેલેથી મોટી સંખ્યામાં લોકો આવવાની જાણ હોવા છતાં ધાબા પર કે કેમ્પસમાં મંડપ જેવી કોઈ વ્યવસ્થા કરવામાં આવી નહોતી. જેને પગલે ઉમેદવારો તડકામાં ઉભા રહ્યાં હતા. હાલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ શહેરની તમામ દુકાનો પર એક મીટરનું અંતર રાખવા સૂચના આપે છે. પરંતુ આરોગ્ય ભવનમાં આ સૂચનાનો અમલ થઈ રહ્યો નથી. જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર પણ માત્ર ટ્વીટર પર સુચના આપવામાં સક્રિય છે.