Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ચિઠ્ઠી થી સંજીવન: બ્રેઇનડેડ ગિરિશચંદ્રએ જીવનની અંતિમ ક્ષણોમાં “ચિઠ્ઠી લખીને” દર્શાવી આ અંતિમ ઇચ્છા

ચિઠ્ઠી થી સંજીવન: બ્રેઇનડેડ ગિરિશચંદ્રએ જીવનની અંતિમ ક્ષણોમાં “ચિઠ્ઠી લખીને” દર્શાવી આ અંતિમ ઇચ્છા
, મંગળવાર, 11 જાન્યુઆરી 2022 (21:55 IST)
ચાર વર્ષથી કિડનીની ગંભીર બિમારીથી પીડાઇ રહેલા લુણાવાડાના ગીરીશચંદ્ર નિયમિતપણે ડાયાલિસીસની સારવાર હેઠળ હતા. ૧૨ મી નવેમ્બરના રોજ તેમને બ્રેઇન હેમરેજ થતા લુણાવાડાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા. ૧૫ મી નવેમ્બરના રોજ તેમની સર્જરી કરવામાં આવી જેથી સ્થિતિમાં થોડો સુધાર આવ્યો. ૧૯ મી નવેમ્બરમાં રોજ ગીરીશચંદ્રને ભાન આવતા તેમણે પોતાના દિકરા મેહુલભાઇ પાસે એક કાગળ અને પેન માંગી અને ચબરખીમાં લખ્યું :
 
“અંગદાન કરશો..મારા શરીરમાં કિડની સિવાય હાથ -પગ સહિતના તમામ અંગો સારા છે..બધા અંગો સાજા અને પાવરફુલ છે...અને નીચે સહી કરી”(ચબરખીના અંશો)
 
ખરેખર ગીરીશચંદ્ર એવું કહેવા માંગતા હતા કે, જો હું બ્રેઇનડેડ થઇ જાવ તું મારા શરીરના અંગોનું દાન કરશો. છેલ્લા ૪ વર્ષથી કિડનીની અતિગંભીર સમસ્યાના કારણે તેઓ ઘણી તકલીફમાંથી પસાર થયા હતા અને એટલે જ તેમને અંગદાન કેટલું મહત્વનું છે તે ખબર હતી.જીવન અને મોત વચ્ચે ઝઝૂમી રહેલા ગિરિશચંદ્રએ જીવનની અંતિમક્ષણોમાં પોતાની અંતિમ ઇચ્છામાં અંગદાનનું સત્કાર્ય કરવા કહ્યું.
webdunia
સિવિલ હોસ્પિલમાં ૧ લી ડિસેમ્બરના રોજ સારવાર અર્થે ગીરીશચંદ્રને દાખલ કરવામાં આવ્યા. ૪૭ દિવસની સારવારના અંતે તેઓને ૭ મી જાન્યુઆરીના રોજ બ્રેઇનડેડ જાહેર કરવામાં આવ્યા. બ્રેઇનડેડ થતા ગિરિશચંદ્ર જોષીના પુત્ર મેહુલભાઇ જોષી કે જેઓ ભારતીય નૌ સેનામાં સેવારત  છે તેઓએ સિવિલ હોસ્પિટલની ટીમને અંગદાન માટે સામેથી કહ્યું.
 
સિવિલ હોસ્પિટલની SOTTO(State Organ Tissue And transplant Organisation)ની ટીમ દ્વારા અંગદાન માટે ગીરીશચંદ્ર જોષીના વિવિધ ટેસ્ટ કરવામાં આવ્યા.જેમાંથી તેમના શરીરની પરિસ્થિતી જોતા લીવરનું દાન મળવુ શક્ય હતુ. જેથી ટીમ દ્વારા તેમના બ્રેઇનડેડ શરીરમાંથી લીવરને રીટ્રાઇવ કરીને કિડની હોસ્પિટલમાં જરૂરિયાતમંદમાં પ્રત્યારોપણ કરવા માટે મોકલવામાં આવ્યું. 
 
અંગદાન સફળ થયા બાદ સ્વ. ગિરિશચંદ્રના પુત્ર મેહુલભાઇ સાથે સંવાદ કર્યો ત્યારે તેમના વિચારોમાં તેમના પિતાના સંસ્કાર અને સિંચનની પ્રતિતી થઇ તેમણે કહ્યું કે, ભારતીય ઇતિહાસમાં ઋષિ દધિચીએ મનુષ્ય અવતારમાં દેવોના રક્ષણાર્થે પોતાના અંગોનું દાન કર્યું હતું તેમ નોંધાયેલું છે. મનુષ્ય જ્યારે જીવનની અંતિમ ક્ષણોમાં હોય છે ત્યારે તે સત્યની સમીપે જતો હોય છે. મૃત્યુ એ જીવનનું ખરુ સત્ય છે જેને લોકોએ સ્વીકારવું જોઇએ. સત્યને પામનરા વ્યક્તિ દેવ બની જાય છે. આ પરિસ્થિતિમાં વ્યકિત દ્વારા મળેલા દાનને દેવદાન ગણવામાં આવે છે. અંગદાન એ દેવદાન છે. દેવદાન મંત્ર શક્તિ થી ઉજાગર થતુ હોય છે ત્યારે અંગદાન પોતે જ દેવશક્તિને ઉજાગર કરે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આ શહેરોમાં રાત્રી કર્ફ્યૂ યથાવત, લગ્ન સમારંભ, ધાર્મિક કાર્યક્રમો સહિત પર લગાવવામાં આવ્યા કડક નિયંત્રણો