Publish Date: Mon, 06 Nov 2017 (12:17 IST)
Updated Date: Mon, 06 Nov 2017 (12:26 IST)
આણંદ જિલ્લાની સાત વિધાનસભાની બેઠકમાં કોંગ્રેસનું એકચક્રીય શાસન જોવા મળે છે. જ્યારે આણંદ અને ખંભાત વિધાનસભા છેલ્લી પાંચ ચૂંટણીમાં ભાજપનું વર્ચસ્વ જોવા મળી રહ્યું છે. જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપની પીછેહઠ થઇ હતી. કોંગ્રેસે સારુ જોર લગાવ્યું હતું. જેથી આ વખત કોંગ્રેસ પોતાની પ્રતિષ્ઠા જાળવવા જ્યારે ભાજપ પોતાનું વર્ચસ્વ ઉભુ કરવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. આણંદ જીલ્લામાં હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર કે જિજ્ઞેશ મેવાણીનો કોઇ પ્રભાવ નથી. માત્ર જ્ઞાતિવાદના પગલે ચૂંટણી જંગ ખેલાય છે. ક્ષત્રીય સમાજની બહુમતી ધરાવતા 190 ગામ તથા પાટીદાર સમાજનું વર્ચસ્વ ધરાવતા 30 ગામો આ વખતે વિધાનસભાની ચૂંટણીનું ભાવિ નક્કી કરશે. ત્યારે જોવાનુ એ રહ્યું કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી નવસર્જનની લહેરમાં આણંદ જિલ્લામાં કેટલી બેઠકો કાઢે છે. તેના પર સૌની નજર રહેલી છે.