Publish Date: Fri, 14 Apr 2023 (13:05 IST)
Updated Date: Fri, 14 Apr 2023 (13:09 IST)
ગુજરાતમાં 15 એપ્રિલથી જંત્રીના દરમાં ડબલ ગણો વધારો અમલી બનવાના એક દિવસ પહેલાં રાજ્ય સરકારે કેટલીક રાહતો જાહેર કરી છે. ખાસ કરી, પ્રીમિયમમાં દરમાં ઘટાડો, બાંધકામની કિંમતમાં ઘટાડો અને ખરીદવી પડતી એફએસઆઈના દરમાં ઘટાડો કર્યો છે. સૌથી મોટી રાહત અર્ફોડેબલ હાઉસિંગમાં આપવામાં આવી છે. રહેણાંક ઝોનમાં 66 ચોરસ મીટરથી 90 ચોરસ મીટર સુધીના બાંધકામમાં પેઈડ એફએસઆઈના 40 ટકાના બદલે 20 ટકા ચૂકવવા પડશે જેથી અર્ફોડેબલ હાઉસિંગના મકાનોની કિંમતમાં કોઈ વધારો થશે નહીં.જોકે, આર-1, આર-2, આર-3 અને ટ્રાન્ઝીસ્ટ ઓરીએન્ડ ઝોન(ટીઓઝેડ)માં આંશિક રાહત આપતા અહીં મકાનોની કિંમત 10થી 15 ટકા સુધી વધી શકવાની ભીતિ છે. જો કે, સરકારે રિડેવલપમેન્ટ અને એનએની ફાઈલો જે ઈન્વર્ડ થઈ હોય તેમાં કોઈ પણ પ્રકારની રાહત આપી નથી. રાજય સરકારે કરેલા નિર્ણયને ક્રેડાઈએ આવકાર્યો હતો પરંતુ રિડેવલપમેન્ટમાં જતા પ્રોજેકટ માટે પણ અર્ફોડેબલ હાઉસીંગમાં જે રાહત આપી તે રાહત આપવાની માંગણી પણ બિલ્ડરોએ વ્યકત કરી છે.જમીન વત્તા બાંધકામના સંયુકત દરમાં રહેણાકના દર બે ગણાને બદલે 1.8 ગણા કરાયા, ઓફિસના દર પણ બે ગણાને બદલે 1.5 ગણા જયારે દુકાનના બે ગણા યથાવત રખાયા રહેણાક, દુકાન અને ઓફિસ સિવાયનાં અન્ય બાંધકામના દર બે ગણાને બદલે દોઢ ગણા કરાયા.ખેતીની જમીન ખેતીમાં ફેરવવી હોય તો 25 ટકાને બદલે 20 ટકા પ્રીમિયમ ભરવુ પડશે ખેતીની જમીન બિન ખેતીમાં ફેરવવા માટે 40 ટકાને બદલે 30 ટકા પ્રીમિયમ કરાયુ.