Publish Date: Fri, 25 Oct 2019 (13:57 IST)
Updated Date: Fri, 25 Oct 2019 (13:59 IST)
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની પેટાચૂંટણીના પરિણામ બાદ ગાંધીનગર પહોંચ્યા છે. અમિત શાહ ગાંધીનગર અને કલોલમાં અનેક વિકાસ કાર્યોના લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે. જો કે સૂત્રોને મળતી માહિતી મુજબ અમિત શાહે સર્કિટ હાઉસમાં ભાજપના દિગ્ગજ નેતાઓ સાથે બંધ બારણે બેઠક યોજી હતી. આ બેઠકમાં જીતુ વાઘાણી અને પ્રદિપસિંહ જાડેજા સહિત નેતાઓ ઉપસ્થિત રહ્યાં હોવાના જાણકારી મળી છે. અમિત શાહે રાજ્યના પરિણામને લઇને નારાજગી વ્યક્ત કરતાં આ બેઠકમાં જીતુ વાઘાણી અને પ્રદિપસિંહ જાડેજા ખખડાવ્યાં હોવાનું જાણવા મળેલ છે. ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે અમિત શાહે બંધબારણે બેઠક કરી હોવાનું સૂત્રોને માહિતી મળી રહી છે. સૂત્રોને મળતી માહિતી મુજબ આ બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ જીતુ વાધાણી તેમજ પ્રદિપસિંહ જાડેજા સહિત અન્ય નેતાઓ હાજર હતા. જો કે આ અંગે હજી કોઇ સત્તાવાર માહિતી મળેલ નથી. સૂત્રના જણાવ્યા અનુસાર આ બેઠકમાં પેટાચૂંટણીના પરિણામ વિપરીત આવતા અમિત શાહે ખખડાવ્યા તેમજ સંગઠન પ્રત્યે નારાજગી વ્યકત કરી હતી. અમિત શાહે બેઠકમાં સંગઠનમાં પકડ મજબૂત કરવા સૂચના આપી છે.રાજ્યમાં યોજાયેલ છ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીનું ગઇકાલે આવેલ પરિણામ ભાજપના અનુમાન કરતા વિપરીત આવ્યું છે. જેમાં રાજ્યની 6 બેઠકમાંથી ભાજપ અને કોંગ્રેસની 3-3 બેઠક પર જીત થઇ છે. આમ ભાજપ દ્વારા 6 બેઠક પર જીતનો દાવો જે કરવામાં આવ્યો હતો તેમાંથી 3 બેઠક પર જ વિજય પ્રાપ્ત થયો.