Publish Date: Sat, 15 Feb 2020 (14:32 IST)
Updated Date: Sat, 15 Feb 2020 (14:39 IST)
LRD ભરતીને કારણે અનામત પરિપત્ર મુદ્દે શરૂ થયેલા વિવાદ હજુ પણ શમવાનું નામ લેતો નથી. બિન અનામત વર્ગની માંગણીઓ મામલે ગઈકાલે આગેવાનો અને સરકાર વચ્ચે બેઠક યોજાઈ હતી. આગેવાનોની સરકાર સાથે બે કલાકથી વધુ સમય સુધી બેઠક ચાલી હતી. તેમાં આજે ગૃહમંત્રી તથા નાયબ મુખ્યમંત્રી સાથે ચર્ચા કરવામાં આવી હતી.
આ મામલે આજે પણ ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વચ્ચે બેઠક યોજાઈ રહી છે. આ બેઠક બાદ તેઓ મુખ્યમંત્રીને મળવા માટે પહોંચ્યા હતા. ત્યાર બાદ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી તથા ગૃહ રાજ્યમંત્રી વચ્ચે બે કલાક બેઠક ચાલી હતી. આ મામલે મુખ્યમંત્રી સાંજ સુધીમાં નિર્ણય લે એવી શક્યતા છે.
આ મામલે ભાજપ નેતા અલ્પેશ ઠાકોરે સરકારને 48 કલાકનું અલ્ટીમેટ આપતા જણાવ્યું હતું કે, પરિપત્ર અંગે સરકાર ઝડપથી નિર્ણય લે. 1/8/2018નો ઠરાવ ગેરબંધારણીય છે. જો સરકાર 48 કલાકમાં નિર્ણય નહીં લે તો પદયાત્રા કરીશ.
તેમજ અલ્પેશ ઠાકોર અને સાંસદ ભરતસિંહ ડાભી મુખ્યમંત્રીને મળવા પણ પહોંચ્યા છે. આજે પણ બિન અનામત વર્ગની મહિલા ઉમેદવારો અને અનામત વર્ગની મહિલાઓનું આંદોલન ચાલી રહ્યું છે. તેમાં પણ અનામત વર્ગની મહિલા ઉમેદવારો 67 દિવસથી સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલન ચલાવી રહી છે.