અમદાવાદમાં સગીરાનું અપહરણ, તકનો લાભ લઈ કારમાંથી કૂદતાં જીવ બચાવ્યો
Publish Date: Wed, 20 Feb 2019 (13:03 IST)
Updated Date: Wed, 20 Feb 2019 (13:05 IST)
અમદાવાદના જુહાપુરમાં વિદ્યાર્થિનીનું અપહરણ કરવાનો પ્રયાસ સામે આવ્યો છે. કારમાં આવીને 3 શખ્સોએ સગીરાના અપહરણનો પ્રયાસ કર્યો છે. અપહરણ કર્યા બાદ વિદ્યાર્થિનીને માર મારવામાં આવ્યો હતો, ત્યારબાદ સ્વબચાવમાં સગીરાએ કારમાંથી ઝંપલાવતા ઇજાગ્રસ્ત થતાં તેને વી એસ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવી છે. મળતી માહિતી અનુસાર, અમદાવાદમાં મંગળવારે સાંજે ધોરણ 10માં ભણતી સગીરાનું અપહરણ થયું હતું. સગીરાને એક કારમાં 3 વ્યક્તિઓ ઉપાડી જતાં હતાં. ત્યારે જુહાપુર વિસ્તારમાં આવેલા અકબર ટાવર નજીક સગીરાએ હિંમત દાખવીને તક મળતા જ કારમાંથી ઝંપલાવ્યું હતું.
જેના કારણે સગીરા અપહરણ કર્તાઓથી બચી તો ગઇ હતી પરંતુ તેને નાની મોટી ઇજાઓ આવી હતી. જેથી હાલ સગીરાને સારવાર માટે હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. સગીરાનું અપહરણ કરવા માટે કારમાં 3 અજાણ્યા શખ્સો આવ્યા હતા અને તેમણે ધોળા દિવસે સગીરાનું અપહરણ કર્યા બાગ કારમાં ઢોર માર માર્યો હતો. ઘટનાને પગલે વિદ્યાર્થીનીએ હિંમતથી કામ લઇને પોતાના સ્વબચાવમાં કારમાંથી પડતું મૂકી દીધું હતું. રોડ પર દોડતી કારમાંથી બહાર ફેંકાવવાના કારણે તે ઇજાગ્રસ્ત બની હતી. ઘટનાને પગલે રોડ પર સ્થાનિક લોકોની મદદથી તેને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડી હતી.
આગળનો લેખ