Publish Date: Mon, 29 Jul 2019 (14:21 IST)
Updated Date: Mon, 29 Jul 2019 (14:23 IST)
છેલ્લા પાંચ વર્ષમાં રાજ્ય સરકારે ૭૩ સરકારી શાળાઓ બંધ કરી છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ૯૬ શાળાઓ બંધ કરી છે, એવું દરિયાપુર મતવિસ્તારના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે જણાવ્યું હતું. તેમણે બંધ પડેલી સરકારી શાળાઓ પુન: શરૂ કરવાની માંગણી કરી હતી. શેખે જણાવ્યું હતું કે, રાજ્યમાં શિક્ષણનો વ્યાપ વધે તે માટે સરકાર દ્વારા નવી શાળાઓ શરૂ કરવામાં આવતી નથી પરંતુ ખાનગી શાળાઓને ઉત્તેજન આપવા માટે સરકારી શાળાઓ બંધ કરવામાં આવે છે. સરકારી પ્રાથમિક શાળાઓમાં ૯,૯૪૩ જેટલા શિક્ષકોની ઘટ છે અને જે શિક્ષકો છે તેમને પણ અન્ય કામગીરી સોંપાતા વિદ્યાર્થીઓના શિક્ષણકાર્ય પર વિપરીત અસર પડે છે. સરકારી શિક્ષકોની પૂરતા પ્રમાણમાં ભરતી કરી સરકારી કર્મચારીઓને સ્પીપા જેવી સંસ્થામાં અપાતા પ્રશિક્ષણની જેમ તમામ શિક્ષકોને આધુનિક શિક્ષણ પદ્ધતિ અનુસાર પ્રશિક્ષણ આપી પ્રશિક્ષિત કરવા જોઈએ.