Publish Date: Tue, 06 Oct 2020 (12:32 IST)
Updated Date: Tue, 06 Oct 2020 (12:35 IST)
કોરોના વાયરસથી થતી પરિસ્થિતિને કારણે શાળા-કોલેજો લગભગ 6 મહિનાથી બંધ છે. ત્યારે વિદ્યાર્થીઓને પણ શાળાઓ દ્વારા ઓનલાઇન શિક્ષણ આપવાની વ્યવસ્થા કરવામા આવી હતી. પરંતુ વિદ્યાર્થીઓ વાર્ષિક પરીક્ષાને લઇ ચિંતિત હતા ત્યારે રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતના વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને માધ્યમિક શિક્ષણ બોર્ડે નિર્ણય લીધો છે.
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડે ધોરણ 9થી ધોરણ 12ના વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લીધો છે. જે અનુસાર વિદ્યાર્થીના વાર્ષીક અભ્યાસક્રમને ઓછો કરી દેવામાં આવ્યો છે. ધોરણ 9થી ધોરણ 12 ધોરણના વિદ્યાર્થીઓના અભ્યાસક્રમમાં 30% ઘટાડો કરવાની જાહેરાત કરી છે. માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઘટાડેલો અભ્યાસક્રમના પ્રશ્નો પરીક્ષામાં પૂંછાશે નહિ. અભ્યાસક્રમમાં કરેલા ઘટાડાની વિસ્તૃત માહિતી તમામ શાળાઓને મોકલી અપાશે.