Publish Date: Tue, 26 Jul 2022 (10:57 IST)
Updated Date: Tue, 26 Jul 2022 (10:59 IST)
અમદાવાદમાં થયેલા સિરિયલ બૉંબધડાકાની ઘટના ગુજરાત ક્યારેય ભૂલી નહીં શકે. ત્યારે અમદાવાદમાં કુલ 21 જગ્યાએ વિસ્ફોટ કરવામાં આવ્યા હતા. આશરે 56 જેટલા લોકો મૃત્યુ પામ્યા હતા, જ્યારે 200થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયાં હતા.
ગુજરાતના ઇતિહાસમાં સૌથી મોટાં અને કલંકિત કહી શકે એવા ગુનાસર અમદાવાદમાં 20 અને સુરતમાં 15 ફરિયાદો નોંધાઈ હતી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી કાર્યવાહી કરીને એક પછી એક એમ 77 આરોપી ઝડપી લીધા હતા. જેમાંથી 49 ગુનેગાર સાબિત થાય હતા. 49 માંથી 38 આરોપીઓને ફાંસી જ્યારે 11 ગુનેગારોને આજીવન કેદની સજા થઈ હતી.26 જુલાઇ 2008ના રોજ અમદાવાદ શહેરમાં શ્રેણીબદ્ધ બોમ્બ ધડાકા થયા હતા. આ ઘટનાને આજ રોજ 14 વર્ષ પૂરા થશે. આજે આ ઘટનાની 15મી વરસી બેસશે. તેને લઇને અસારવા યુથ સર્કલ દ્રારા રવિવારે મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે અસારવા ખાતે આવેલી મહાપ્રભુજી કો.ઓ. હા. સોસાયટીમાં શ્રદ્ધાંજલિ સભા યોજવામાં આવી હતી, જેમાં મૃતકોને તેમના સગાં- સ્વજનો દ્રારા પુષ્પ અર્પણ કરીને ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ત્યારે હાજર સ્વજનોએ જણાવ્યું હતું કે બોમ્બ બ્લાસ્ટના કેસમાં આજથી છ મહિના પહેલાં ફ્રેબુઆરી-2022ના રોજ કોર્ટે ચુકાદો આપ્યો છે. આ ચુકાદામાં મૃતકના સ્વજનોને એક લાખ તથા ગંભીર ઈજાગ્રસ્તોને 50 હજાર તેમ જ સામાન્ય ઇજા પામેલાઓને 25 હજાર ચુકવવાનો હુકમ કર્યો હતો. આ હુકમને આજે છ મહિનાનો સમય વીતી જવા છતાં મૃતકના પરિવારને કે ઈજાગ્રસ્તોને વળતરની રકમ મળી નહીં હોવાનું તેમણે જણાવ્યું છે.આજથી 14 વર્ષ પહેલાં સમીસાંજે અમદાવાદ શહેરના મણિનગર, નારોલ, ઇસનપુર, બાપુનગર, ખાડિયા, સિવિલ હોસ્પિટલ તેમ જ સરખેજ વિસ્તાર સહિત 22 સ્થળોએ બોંબ ધડાકાથી શહેરની ધરતી ધણધણી ઊઠી હતી. આ બોમ્બ ધડાકાથી સમગ્ર ગુજરાત જ નહીં બલ્કે વિશ્વમાં ભારે ચકચાર મચી જવા પામી હતી.
આ બોમ્બ ધડાકામાં 56 લોકોના મૃત્યુ થયા હતા. તો હાલના કેબિનેટ મંત્રી પ્રદિપ પરમાર સહિત 246 લોકો ઈજા પામ્યા હતા. ત્યાં સુધી કે એક બળદનું પણ મૃત્યુ થયું હતું. આ ગુનામાં શહેર ક્રાઇમ બ્રાન્ચે તબક્કાવાર 80 જેટલાં આરોપીઓને પકડીને તેમની સામે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી, તેમાંથી બે વ્યક્તિ મૃત્યુ પામી હોવાથી તેમની સામેના કેસ પડતાં મૂકવામાં આવ્યા હતા. જ્યારે આરોપી ડો. અબુ ફૈસલે કેસ અલગ કરવાની અરજીમાં 1-8-2014ના રોજ હુકમ થયો હોવાથી અલગ કેસ ચાલ્યો હતો, જેથી બાકીના આરોપીઓ સામેનો કેસ ચાલ્યો હતો.