Publish Date: Fri, 03 Jun 2022 (08:46 IST)
Updated Date: Fri, 03 Jun 2022 (08:49 IST)
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે જ્ઞાનવાપી મુદ્દો, મસ્જિદોમાં શિવલિંગ મળવા પર અને મંદિર આંદોલન જેવા ઘણા મુદ્દે પોતાનો મત રજૂ કર્યો છે.
નાગપુરમાં સંઘશિક્ષાવર્ગ, તૃતીય વર્ષ 2022ના સમાપન સમારોહ દરમિયાન સર સંઘચાલકે જ્ઞાનવાપી મામલે કહ્યું કે આપણે ઈતિહાસ બદલી શકતા નથી.
તેમણે કહ્યું, "જ્ઞાનવાપીનો મુદ્દો ચાલી રહ્યો છે. જે ઇતિહાસ છે આપણે તેને બદલી શકતા નથી. ઇતિહાસને ન તો આજના હિન્દુઓએ બનાવ્યો છે, ન તો આજના મુસલમાનોએ. એ ભૂતકાળમાં બનેલી ઘટનાઓ છે."
"ઇસ્લામ હુમલાખોરો દ્વારા બહારથી આવ્યો. તેમના હુમલામાં ભારતની આઝાદી ઇચ્છનારા લોકોનું મનોબળ તોડવા માટે દેવસ્થાનોને તોડવામાં આવ્યાં. હિન્દુ સમાજનું ધ્યાન જેના પર છે, વિશેષ શ્રદ્ધા જેના પર છે, તેવા મુદ્દા ઊઠે છે પરંતુ હિન્દુ, મુસલમાનો વિરુદ્ધ વિચારતા નથી. આજના મુસલમાનોના પૂર્વજ પણ હિન્દુ હતા. તેમને અંતઃકાળ સુધી સ્વતંત્રતાથી વંચિત રાખવા માટે આમ કરવામાં આવ્યું. જેથી હિન્દુઓને લાગે છે કે તેને (ધાર્મિક સ્થળોને) પુનર્સ્થાપિત કરવા જોઈએ."
તેમણે કહ્યું, "હળીમળીને સમહમતિથી કોઈ રસ્તો કાઢો, પરંતુ દર વખતે રસ્તો નથી નીકળી શકતો. જેથી કોર્ટમાં જવું પડે છે. કોર્ટમાં જઈએ તો કોર્ટ જે ચુકાદો આપે તેને માન્ય પણ રાખવો પડે. આપણી ન્યાયવ્યવસ્થાને સર્વશ્રેષ્ઠ માનીને તેના નિર્ણય માનવા જોઈએ. ન કે તેના પર પ્રશ્નાર્થચિહ્ન લગાવવાં જોઈએ."