Publish Date: Tue, 03 Sep 2024 (15:35 IST)
Updated Date: Tue, 03 Sep 2024 (15:41 IST)
લોકસભાની ચૂંટણી બાદ વડાપ્રધાન મોદી પહેલીવાર ગુજરાતની મુલાકાતે આવશે. તેઓ પોતાના જન્મ દિવસ દરમિયાન અમદાવાદ ગાંધીનગર વચ્ચેના સેક્ટર-1 તથા ગીફ્ટ સિટી સુધીના મેટ્રો રેલના બીજા તબક્કાનું લોકાર્પણ કરે તેવી શક્યતાઓ છે. તે ઉપરાંત તેઓ ગાંધીનગરમાં આવેલા મહાત્મા મંદિર ખાતે ગ્રીન એનર્જી સમિટની અધ્યક્ષતા પણ કરશે. PM મોદી તેમના જન્મ દિવસે સેવા સેતુ કાર્યક્રમની જાહેરાત કરશે.
મોટેરા-ગાંધીનગર સુધી 22 સ્ટેશન
મોટેરા-ગાંધીનગર સુધીના રૂટ ઉપર 22 સ્ટેશન બનાવવામાં આવ્યાં છે. જેમાં જરૂરી તમામ સુવિધાઓ ઊભી કરવામાં આવી રહી છે. 22 સ્ટેશનની વાત કરીએ તો કોટેશ્વર રોડ, વિશ્વકર્મા કોલેજ, તપોવન સર્કલ, નર્મદા કેનાલ, કોબા સર્કલ, જૂના કોબા, કોબા ગામ, જીએનએલયુ, પીડીપીયુ, ગિફ્ટસિટી, રાયસણ, રાંદેસણ, ધોળાકુવા સર્કલ, ઇન્ફોસિટી, સેક્ટર-1, સેક્ટર-10/એ, સચિવાલય, અક્ષરધામ, જૂના સચિવાલય, સેક્ટર-16, સેક્ટર-24, મહાત્મા મંદિર ખાતે મેટ્રો સ્ટેશનની કામગીરીને આખરી ઓપ અપાઈ રહ્યો છે.
બંને રૂટ પરનાં 15 સ્ટેશનનું કામ પૂરું થયું
હાલમાં મોટેરાથી સેક્ટર-1 સુધીના 16 કિલોમીટર રૂટ પર 13 સ્ટેશન તેમજ જેએનએલયુથી ગિફ્ટ સિટી વચ્ચેના 2 સ્ટેશન મળી કુલ 15 સ્ટેશનનું કામ પૂર્ણ થઈ ગયું છે. જ્યારે સેક્ટર-1થી મહાત્મા મંદિર સુધીના રૂટ પર પણ પુરઝડપે કામગીરી ચાલી રહી છે અને વર્ષના અંત સુધીમાં આ કામ પૂર્ણ કરી દેવાનો લક્ષ્યાંક છે.