Publish Date: Tue, 29 Mar 2022 (13:58 IST)
Updated Date: Tue, 29 Mar 2022 (13:59 IST)
રશિયન સૈનિકોના સતત હુમલાને કારણે યુક્રેન તબાહીની સ્થિતિમાં છે. બોમ્બ ફેંકવામાં આવી રહ્યા છે, મિસાઇલો છોડવામાં આવી રહી છે. રશિયા અને યુક્રેન વચ્ચે એક મહિનાથી પણ વધુ સમયથી ચાલી રહેલા યુદ્ધને અટકાવવાની ફોર્મ્યુલા ભારતમાં ઘડાવાની તૈયારી ચાલી રહી છે. રશિયાના વિદેશમંત્રી સર્ગેઈ લાવરોવની અચાનક ભારત મુલાકાત આ દિશામાં મહત્ત્વનું પગલું છે.
લાવરોવ આ સપ્તાહે આવશે, પરંતુ તારીખ નક્કી નથી. જોકે એટલું નક્કી છે કે તેઓ ઈઝરાયેલના વડાપ્રધાન નફ્તાલી બેનેટની મુલાકાત પહેલાં આવી જશે. નફ્તાલી બીજી એપ્રિલે ભારત આવી રહ્યા છે. રશિયન વિદેશમંત્રી સાથે વાતચીત પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી નફ્તાલી સાથે વાત કરશે. નફ્તાલીનો પ્રવાસ પૂરો થયા પછી મોદી રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિન અને યુક્રેનના પ્રમુખ વોલોદિમિર ઝેલેન્સ્કી સાથે વાત કરશે. આ દરમિયાન નફ્તાલી પણ એ બંને નેતાઓ સાથે વાત કરશે.
ભારત આંતરરાષ્ટ્રીય મંચ પર સતત સંઘર્ષ વિરામની વકીલાત કરી રહ્યું છે. આ માટે યુએનમાં એક જ દિવસમાં બે પ્રસ્તાવ પર મતદાનમાં ભારતે હિસ્સો નહોતો લીધો. એક પ્રસ્તાવ યુક્રેનના પક્ષમાં હતો, જ્યારે બીજો રશિયાના પક્ષમાં. હાલ ભારત-ઈઝરાયેલનો હેતુ રશિયાના મહત્ત્વના મતભેદ ઉકેલવાનો છે.