Publish Date: Thu, 02 Mar 2023 (08:00 IST)
Updated Date: Thu, 02 Mar 2023 (08:04 IST)
Rajasthan Family Suicide- રાજસ્થાનનાં જાલોર જિલ્લો (Jalore)માં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જિલ્લાનાં સાંચોર શહેર (Sanchore) માં બુધવારે પતિ-પત્નીએ તેમના 5 બાળકો સાથે નર્મદા કેનાલમાં ઝંપલાવીને આત્મહત્યા કરી હતી. બપોરે 2.30 કલાકે બનેલા આ અકસ્માતમાં પોલીસે બચાવ કામગીરી હાથ ધરી હતી અને સાંજે 6.30 કલાકે તમામના મૃતદેહ કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. સાંજે 4 વાગ્યે પરિવારના એક બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો, જ્યારે સાડા છ વાગ્યાની આસપાસ દોરડા વડે બાંધેલા પતિ-પત્ની અને 4 બાળકોના મૃતદેહ મળી આવ્યા હતા.
પાડોશીઓના કહેવા મુજબ અગાઉ પણ ઝઘડો થયો હતો
એક રીપોર્ટ મુજબ એક વ્યક્તિએ 101 હેલ્પલાઈન પર માહિતી આપી હતી કે ગાલીપા વિસ્તારના શંકરાનો તેની પત્ની સાથે ઝઘડો થયો છે. ભંવર સિંહ રાજપૂત તરીકે પોતાનું નામ આપનાર આ વ્યક્તિએ કહ્યું કે ઝઘડા પછી શંકર ગુસ્સામાં પોતાની પત્ની અને બાળકોને સાથે લઈને ઘરની બહાર નીકળી ગયો હતો. બાદમાં તેઓના કપડા અને મોબાઈલ સિદ્ધેશ્વરમાં નર્મદા મુખ્ય કેનાલ પાસે પડેલા મળી આવ્યા હતા. ત્યારપછી તેની શોધખોળ શરૂ કરવામાં આવી, ત્યારે જ બચાવ કામગીરીમાં તેનો મૃતદેહ મળી આવ્યો.
પોલીસના જણાવ્યા અનુસાર રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન તમામના મૃતદેહ નહેર પાસે જે જગ્યાએથી કપડા મળ્યા હતા તેનાથી લગભગ 200 મીટર આગળ મળી આવ્યા હતા. તેમાં શંકરારામ (32), તેની પત્ની બદલી (30), પુત્રી રમીલા (12), પુત્ર પ્રકાશ (10), પુત્રી કેગી (8), પુત્રી જાનકી (6) અને પુત્ર હિતેશ (3)નો સમાવેશ થાય છે. આ સાથે જ નજીવા ઘરકંકાસમાં શંકરારામનો આખો પરિવાર ખતમ થઈ ગયો.