Publish Date: Fri, 12 Jul 2024 (16:21 IST)
Updated Date: Fri, 12 Jul 2024 (16:24 IST)
દિલ્હીની આબકારી નીતિના મામલે સુપ્રીમ કોર્ટે દિલ્હીના મુખ્ય મંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક કેજરીવાલને વચગાળાના જામીન આપ્યા છે.
બે ન્યાયધીશોની બૅન્ચે કહ્યું કે આ મામલે કેટલાક સવાલો છે જેના વિશે ન્યાયધીશોની એક મોટી બૅન્ચે વિચાર કરવાની જરૂર છે.
જસ્ટિસ સંજીવ ખન્નાએ કહ્યું, "અરવિંદ કેજરીવાલ 90થી વધારે દિવસોથી જેલમાં બંધ છે."
તેમણે કહ્યું કે ચૂંટણી દરમિયાન જે શરતોના આધારે તેમને વચગાળાના જામીન મળ્યા હતા તે જ શરતોને આધારે તેમને વચાગાળાના જામીન મળશે.
અહીં ઉલ્લેખનીય છે કે મે મહિનામાં લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે 10 મેના રોજ અરવિંદ કેજરીવાલને ચૂંટણી પ્રચાર માટે તાત્કાલિક રાહત આપી હતી અને તેમને 2 જૂન સુધી 21 દિવસ માટે વચગાળાના જામીન આપ્યા હતા.
ન્યાયધીશોની બૅન્ચે કહ્યું કે તેઓ એક ચૂંટાયેલા નેતા છે. જોકે, બૅન્ચે કહ્યું કે કેજરીવાલ મુખ્ય મંત્રી રહી શકે કે નહીં તે વિશે નિર્દેશ આપી ન શકાય.
જસ્ટિસ સંજીવ ખન્નાએ કહ્યું કે આ વિશે આ નિર્ણય લેવાની જવાબદારી અમે અરવિંદ કેજરીવાલ પર છોડીએ છીએ.
જોકે, કેજરીવાલ વચગાળાના જામીન પર બહાર આવી નહીં શકે. કારણ કે સર્વોચ્ચ અદાલતે તેમને ઈડી તરફથી થયેલી ધરપકડ મામલે વચગાળાના જામીન મળ્યા હતા.
સીબીઆઈએ કેજરીવાલની થોડાક દિવસો પહેલાં ધરપકડ કરી હતી. કેજરીવાલે સીબીઆઈની ધરપકડને દિલ્હી હાઇકોર્ટમાં પડકારી છે. આ મામલાની સુનવણી 17 જુલાઈએ થશે.
સુપ્રીમ કોર્ટે દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન આપ્યા