લોકસભા ચૂંટણી 2019- કોંગ્રેસની બ્રાહ્મણ વિરોધી નીતિ, બ્રાહ્મણ સમાજના કોંગી કાર્યકરોમાં ભભૂકતો રોષ
Publish Date: Mon, 01 Apr 2019 (12:58 IST)
Updated Date: Mon, 01 Apr 2019 (13:00 IST)
ભાજપ અને કોંગ્રેસ એક બાજુ ટીકિટ ફાળવણીને લઈને અસમંજસમાં છે. પાટીદારો, ઠાકોરસમાજ અને કોળી સમાજમાં તાલમેલ જાળવવા બંને પક્ષો રાતદિવસ એક કરી રહ્યાં છે. ત્યાં બ્રાહ્મણ સમાજના કોંગ્રેસી નેતાઓ પણ પક્ષમાં રહીને પક્ષ વિરોધી પ્રવૃત્તિમાં લાગી ગયાં છે. વોટ્સએપ અને ફેસબુક જેવા સોશિયલ મીડિયામાં આ નેતાઓ હવે ભાજપને મત આપવાનું કહી રહ્યાં છે. આની પાછળનું કારણ જણાવતા તે લોકો એવુ કહે છે કે કોંગ્રેસને માત્ર સત્તા અને પૈસામાં જ રસ છે. તેમણે એક પણ બ્રાહ્મણ નેતાને લોકસભાની ટીકિટ આપી નથી અને રાજસ્થાનમાં પણ અશોક ગેહલોતની સરકારમાં બ્રાહ્મણોએ ખાસી મહેનત કર્યાં પછીય એક પણ બ્રાહ્મણને રાજસ્થાનમાં પણ કોંગ્રેસની ટિકીટ મળી નથી હવે કોંગ્રેસને મત નહીં, ભાજપે બરોડામાં લોકસભાની ટીકિટ રંજનબેન ભટ્ટને આપીને બ્રાહ્મણ સમાજને પણ સાચવી લીધો છે પરંતુ કોંગ્રેસના નેતાઓએ પોતાના વ્હાલાંદવલાની નીતિથી એક પણ બ્રાહ્મણને ટિકીટ ફાળવી નથી. આ અંગે બ્રહ્મ સમાજના નેતાઓ કેમ બોલતા નથી એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે. કોંગ્રેસમાં પૂર્વ ગૃહમંત્રી નરેશ રાવલ તથા ખાડીયામાં જગત શુકલ જેવા નેતાઓ છે. આ નેતાઓ પણ પાટીદાર સમાજની જેમ કોંગ્રેસ પાસે ટીકિટની માંગ કરી શકતાં નથી. નરેશભાઈ રાવલ બ્રાહ્મણ હોવાં છતાં ગત બંને વિધાન સભાની ચૂંટણીમાં કોંગ્રેસે તેમની ટિકીટ કાપી નાંખતાં કાર્યકરોમાં રોષ ફેલાયેલો તો છે જ પણ હવે લોકસભામાં પણ કોંગ્રેસની બ્રાહ્મણ વિરોધી નીતિ ઉડીને આંખે વળગી છે અને સોશિયલ મીડિયામાં બ્રાહ્મણો ભાજપને મત આપવા માટે સક્રિય પણે લોકોને મેસેજ કરી રહ્યાં છે.
આગળનો લેખ