Publish Date: Fri, 10 Aug 2018 (13:05 IST)
Updated Date: Fri, 10 Aug 2018 (13:33 IST)
ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના બે દિગ્ગજ અભિનેતાઓ સિદ્ધાર્થ રાંદેરિયા અને મનોજ જોષી સૌપ્રથમ વખત એકસાથે દેખાશે. રામાનંદ સાગર રચિત `રામાયણ'માં સીતાનું પાત્ર ભજવીને પ્રસિદ્ધી મેળવનારાં દીપિકા ચિખલિયા ટોપીવાળા આ ફિલ્મથી રૂપેરી પરદે કમ બેક કરી રહ્યાં છે. રાહુલ સુગંધ, જુગલ સુગંધ, રવીન્દ્ર તેંદુલકર અને અજય બગદાઈ નિર્મિત `નટસમ્રાટ'ની પટકથા લખી છે. પ્રવીણ સોલંકી એ એના સંવાદો લખ્યાં છે. સ્નેહા દેસાઈ આલાપ દેસાઇએ આ ફિલ્મનું સંગીત આપ્યું છે અને દિલીપ રાવલે ગીતો લખ્યાં છે. શ્રીધર ભટ્ટ આ ફિલ્મના સિનેમેટોગ્રાફર છે. `ચોક ઍન્ડ ડસ્ટર' ફેમ દિગ્દર્શક જયંત ગીલાટર આ ફિલ્મના દિગ્દર્શક છે, આ તેમની પહેલી ગુજરાતી ફિલ્મ છે. ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થયું છે અને આગામી 30 ઓગસ્ટ 2018ના રોજ ફિલ્મ રિલીઝ થશે.નટસમ્રાટ એક એવા રસિક અને ધનાઢ્ય અભિનેતાની સ્ટોરી છે જે તેની કારકિર્દીમાં લોકપ્રિયતાના શિખર પર છે અને તેની નિવૃત્તિનો સમય પણ અણીએ છે. કથાનાયક હરીન્દ્ર પાઠક (સિદ્ધાર્થ રાંદેરીયા) ને એ વાસ્તવિક્તા સમજાય છે કે તેની લોકપ્રિયતા અને મહત્વ માત્ર નાટકના મંચ સુધી જ સીમિત રહેશે. પરિસ્થિતિઓ અને તેના પોતાના બાળકો દ્વારા નિરાશા મળતા હરીન્દ્ર આખરે તેના જીવનમાંથી સંપૂર્ણ વિમુખ થઇ જાય છે. ટાઈટલનો શાબ્દિક અર્થ ‘અભિનેતાઓનો સમ્રાટ’ વ્યંગાત્મક છે કેમકે એ સમ્રાટ તેનું જીવન ફૂટપાથ પર વિતાવે છે જ્યાં તેની પ્રતિભાને કોઈ જાણતું નથી. આ સ્ટોરી એક જીવનમાં આવતા અજાણ ‘ટર્ન અને ટ્વિસ્ટ’નું પરિણામ દર્શાવે છે અને આપણે આપણા ભાગ્યની સામે માત્ર એક કઠપૂતળી છીએ. આ ફિલ્મ મરાઠી ફિલ્મ ‘નટસમ્રાટ’ તથા ખ્યાતનામ ગુજરાતી નાટક ‘અમારી દુનિયા તમારી દુનિયા’ પર આધારિત છે. નટસમ્રાટ ૩૦ ઓગસ્ટ ના રોજ વર્લ્ડ વાઈડ રિલીઝ થશે.