Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'તારક મેહતા...' ફેમ દિશા વાકાણીના પિતા અને પ્રસિદ્ધ નાટ્યકાર ભીમ વાકાણીનું 84 વર્ષની વયે નિધન

disha vakani father bheem vakani  death
disha vakani father bheem vakani death
ટેલિવિઝન જગતની લોકપ્રિય અભિનેત્રી દિશા વાકાણી (દયાબેન) અને મયુર વાકાણી (સુંદલાલ)ના પિતા તેમજ જાણીતા નાટ્યકાર ભીમ વાકાણીનું 84 વર્ષની વયે નિધન થયું છે. તેઓ છેલ્લા કેટલાક સમયથી બીમારીથી ઝઝૂમી રહ્યા હતા. ભીમ વાકાણી રંગભૂમિ, ટેલિવિઝન અને સિનેમા એમ ત્રણેય માધ્યમોમાં દાયકાઓ સુધી સક્રિય રહ્યા હતા અને તેમણે અમદાવાદમાં 'વાકાણી થિયેટર્સ' દ્વારા અનેક યાદગાર નાટકો આપ્યા હતા.
 
સંતાનોની કલાયાત્રામાં પિતાનો મહત્વનો ફાળો
 
ભીમ વાકાણીએ તેમના તમામ સંતાનોને કલાનું શિક્ષણ આપી તેમને પ્રોત્સાહિત કર્યા હતા. 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના મેકર અસિત મોદી અને દિલીપ જોષીએ તેમને શ્રદ્ધાંજલિ આપતા જણાવ્યું કે, દિશા અને મયુર આજે જે સ્થાન પર છે તેની પાછળ તેમના પિતાની સખત મહેનત અને માર્ગદર્શન રહેલું છે. તેમણે નાની ઉંમરે જ દિશાને મુંબઈ મોકલવાનો સાહસિક નિર્ણય લીધો હતો, જે તેના કરિયર માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો.
 
સામાજિક જનજાગૃતિ અને સંઘર્ષના દિવસો
 
દિશા વાકાણીએ ભૂતકાળમાં પિતા સાથેની યાદો વાગોળતા જણાવ્યું હતું કે, તેમણે પિતા સાથે છકડામાં બેસીને ગુજરાતના ગામેગામ 'બેટી બચાઓ' અને 'દારૂ છોડો' જેવા જનજાગૃતિના નાટકો ભજવ્યા હતા. ગામડાંના આ પ્રવાસ અને પપ્પાના દિગ્દર્શન હેઠળ કરેલા 'મંગળફેરા' અને 'પહેલો સગો' જેવા નાટકોએ જ દિશાને એક શ્રેષ્ઠ અભિનેત્રી તરીકે તૈયાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
 
'તારક મહેતા...' સિરિયલમાં પણ જોવા મળ્યા હતા
 
બહુ ઓછા લોકો જાણે છે કે ભીમ વાકાણી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના એક ખાસ એપિસોડમાં પણ અભિનય કરી ચૂક્યા છે. તેમણે શોના 1320માં એપિસોડમાં ચંપકચાચાના મિત્ર 'માવજી છેડા'નું પાત્ર ભજવ્યું હતું. આ એપિસોડમાં બાઘા અને જેઠાલાલ સાથેના તેમના દ્રશ્યો ખૂબ જ રમુજી હતા. તેમના નિધનથી ગુજરાતી રંગભૂમિએ એક નિષ્ઠાવાન કલાકાર અને માર્ગદર્શક ગુમાવ્યા છે.

બપોરે થલતેજ ખાતે અંતિમ સંસ્કાર
 
ભીમ વાકાણીના પુત્ર મયુર વાકાણીએ સોશિયલ મીડિયા પર આ દુઃખદ સમાચાર શેર કરતા જણાવ્યું હતું કે, તેમના પિતા આજે સવારે દેવલોક પામ્યા છે. તેમના પાર્થિવ દેહની અંતિમયાત્રા આજે બપોરે 2:30 વાગ્યે અમદાવાદમાં તેમના નિવાસસ્થાનેથી નીકળશે અને થલતેજ સ્મશાન ગૃહ ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. આ અંતિમ વિદાય પ્રસંગે પરિવારના સભ્યો, મિત્રો અને કલા જગતના નજીકના લોકો ઉપસ્થિત રહી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે.
 
હિન્દી ફિલ્મ અને નાટ્યજગતમાં નોંધપાત્ર યોગદાન
 
ભીમ વાકાણી માત્ર ગુજરાતી રંગભૂમિ સુધી મર્યાદિત નહોતા, પરંતુ તેમણે હિન્દી સિનેમામાં પણ પોતાની પ્રતિભાનો પરિચય આપ્યો હતો. તેમણે આમિર ખાનની સુપરહિટ ફિલ્મ 'લગાન', શાહરૂખ ખાનની 'સ્વદેશ' ઉપરાંત 'લજ્જા' અને 'વન્સ અપોન અ ટાઈમ ઇન ઇન્ડિયા' જેવી જાણીતી ફિલ્મોમાં મહત્ત્વના પાત્રો ભજવ્યા હતા. તેમની અભિનય શૈલી અને વર્ષોના અનુભવે તેમને મનોરંજન જગતમાં એક આદરણીય સ્થાન અપાવ્યું હતું.
 
મનોરંજન જગતમાં શોકનું મોજું
 
ભીમ વાકાણીના નિધનથી વાકાણી પરિવાર સહિત સમગ્ર કલા જગતમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે. સોશિયલ મીડિયા પર ચાહકો અને કલાકારો તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. તેમની વિનમ્રતા, સાદગી અને કલા પ્રત્યેનું સમર્પણ આવનારી પેઢીના કલાકારો માટે હંમેશા પ્રેરણારૂપ રહેશે. તેમના જવાથી ગુજરાતી અને હિન્દી સિનેમામાં જે ખાલીપો સર્જાયો છે તે પૂરો કરવો અશક્ય છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી જોક્સ - આંગળીની કીમત