Publish Date: Tue, 07 Apr 2026 (05:49 IST)
Updated Date: Tue, 07 Apr 2026 (05:52 IST)
મધ્ય પૂર્વમાં અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલ યુદ્ધ ઉગ્ર બની રહ્યું છે. ઈરાનમાં કયામત આવવામાં હવે માત્ર 24 કલાક બાકી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે જો મંગળવારે રાત્રે 8 વાગ્યા પહેલા હોર્મુઝ સ્ટ્રેટ ખોલવામાં નહીં આવે તો તેઓ ઈરાનમાં વિનાશના દરવાજા ખોલી નાખશે. ટ્રમ્પનું અલ્ટીમેટમ વિશ્વના ધબકારા વધારી રહ્યું છે. આ દરમિયાન, એક અમેરિકન અધિકારીએ દાવો કર્યો છે કે ઈરાને યુદ્ધ સમાપ્ત કરવાના અમેરિકાના પ્રસ્તાવ પર 10 મુદ્દાનો જવાબ મોકલ્યો છે. બીજી તરફ, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર પુનરોચ્ચાર કર્યો છે કે મંગળવાર ઈરાન માટે અંતિમ સમયમર્યાદા છે. સોમવારે પોતાના સંબોધનમાં ટ્રમ્પે F-15 પાયલોટને બચાવવાના ઓપરેશન પર પણ નિવેદન આપ્યું હતું.
દુનિયામાં કોઈ પણ આવું રેસ્ક્યુ કરી શકતું નથી” – ટ્રંપ
સોમવારે પોતાના સંબોધનમાં Donald Trumpએ ઈરાનમાંથી F-15 પાઇલટને બચાવવાની કાર્યવાહી વિશે વાત કરી હતી. તેમણે કહ્યું કે, “દુનિયામાં કોઈ દેશ પાસે અમેરિકા જેવા હથિયારો નથી. અમે દુશ્મનના વિસ્તારમાં જઈને અમારા બંને પાઇલટને સુરક્ષિત પરત લાવ્યા. દુનિયામાં કોઈ પણ આવું રેસ્ક્યુ કરી શકતું નથી.”
ટ્રંપે વધુમાં કહ્યું કે લગભગ 200 લોકો મળીને એક સૈનિકનું જીવન બચાવ્યું. પાઇલટ ગંભીર રીતે ઘાયલ હતો અને ફસાઈ ગયો હતો. રેસ્ક્યુ ટીમ આવા ઓપરેશન માટે સંપૂર્ણ રીતે તૈયાર હતી. પાઇલટ સતત પોતાની લોકેશન આપી રહ્યો હતો. રેસ્ક્યુ માટે 21 વિમાનો મોકલવામાં આવ્યા હતા અને આખી કામગીરીમાં 48 કલાક લાગ્યા હતા.
દુશ્મનને ભટકાવવા માટે 7 અલગ ટીમો મોકલવામાં આવી હતી. ઓપરેશન દરમિયાન કોઈપણ અમેરિકી સૈનિકને નુકસાન થયું નથી. ટ્રંપે જણાવ્યું કે પાઇલટના ગાયબ થવાની માહિતી લીક થઈ હતી અને રેસ્ક્યુ પ્લાન પણ બહાર આવ્યો હતો, પરંતુ આ માહિતી લીક કરનારને શોધી કાઢવામાં આવશે.
ઈરાનને ટ્રંપની ધમકી
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ટ્રંપે ઈરાનને ફરીથી ચેતવણી આપી. તેમણે કહ્યું કે “મંગળવાર ઈરાન માટે વિનાશની રાત બની શકે છે.” તેમણે દાવો કર્યો કે અમેરિકા એક જ રાતમાં આખું ઈરાન નષ્ટ કરી શકે છે.
ટ્રંપે કહ્યું કે અમેરિકા ઈરાનને પરમાણુ બોમ્બ રાખવા નહીં દે. તેમણે એ પણ કહ્યું કે ઈરાનમાં સત્તા પરિવર્તન થઈ ચૂક્યું છે.
ઈરાનની માંગ શું છે?
એક અમેરિકી અધિકારી અનુસાર, ઈરાને યુદ્ધ સમાપ્ત કરવા માટે અમેરિકાના પ્રસ્તાવ પર પાકિસ્તાન મારફતે 10 મુદ્દાનો જવાબ મોકલ્યો છે. ઈરાને અસ્થાયી સીઝફાયર નકારી દીધો છે અને પોતાની શરતો પર યુદ્ધનો કાયમી અંત લાવવા માંગ કરી છે. ઈરાનનું કહેવું છે કે તે માત્ર સીઝફાયર નહીં પરંતુ સ્થાયી ઉકેલ ઈચ્છે છે, જેમાં સમાવેશ થાય છે:
- પ્રાદેશિક યુદ્ધનો અંત
- પ્રતિબંધોમાં રાહત
- પુનર્નિર્માણ માટે સહાય
- હોર્મુઝ જળસંધિમાં સુરક્ષિત પરિવહન માટે નિયમો
બીજી તરફ, ઈરાનની સરકારી ન્યૂઝ એજન્સી IRNAએ પણ સીઝફાયર પ્રસ્તાવ નકારી કાઢ્યાની માહિતી આપી છે.
મંગળવાર છેલ્લી ડેડલાઇન – ટ્રંપ
ટ્રંપે જણાવ્યું કે મંગળવાર ઈરાન માટે અંતિમ સમયમર્યાદા છે. તેમણે કહ્યું કે ઈરાને મહત્વપૂર્ણ પ્રસ્તાવ આપ્યો છે, જે સારો નથી પરંતુ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ટ્રંપે ઈરાનના લોકો વિશે કહ્યું કે તેઓ મજબૂત અને કાબેલ લડવૈયા છે, પરંતુ હાલ તેઓ પહેલાથી ઓછા શક્તિશાળી છે. તેમણે દાવો કર્યો કે ઈરાનમાં નવા શાસન પહેલાથી વધુ સમજદાર છે અને અમેરિકા દ્વારા સંપૂર્ણ સત્તા પરિવર્તન કરવામાં આવ્યું છે.તેમણે આક્ષેપ કર્યો કે ઈરાને 45,000 પ્રદર્શનકારીઓને મારી નાખ્યા છે, જ્યારે અમેરિકા એવું કરતું નથી.
“ઈરાનના લોકો બોમ્બની અવાજ સાંભળવા માંગે છે” – ટ્રંપ
ટ્રંપે વિવાદાસ્પદ નિવેદન આપતાં કહ્યું કે, “જ્યારે ઈરાનના લોકો બોમ્બની અવાજ નથી સાંભળતા, ત્યારે તેઓ પરેશાન થઈ જાય છે.”
તેમણે દાવો કર્યો કે ઈરાન પાસે હવે થોડા જ મિસાઇલ અને ડ્રોન બાકી છે અને તેમની ક્ષમતા ખૂબ ઓછી છે. ટ્રંપે Qasem Soleimaniનો ઉલ્લેખ કરતાં કહ્યું કે જો તે હોત તો પરિસ્થિતિ અલગ હોત.
ટ્રંપે કહ્યું કે અમેરિકા ઈરાન છોડીને જઈ શકે છે, પરંતુ તેઓ આ મુદ્દાને સંપૂર્ણ રીતે સમાપ્ત કરવા માંગે છે. તેમણે કહ્યું કે જો વિકલ્પ મળ્યો હોત તો તેઓ ઈરાનનું તેલ કબજે કરત.
જ્યારે રિપોર્ટરે પૂછ્યું કે યુદ્ધના વિરોધીઓ માટે શું સંદેશ છે, ત્યારે ટ્રંપે જવાબ આપ્યો કે “એ લોકો મૂર્ખ છે.”