Publish Date: Mon, 11 Dec 2017 (13:58 IST)
Updated Date: Mon, 11 Dec 2017 (14:28 IST)
કાન, નાક, ગળાના રોગોમાં ઘણાં કિસ્સામાં દર્દીના ગળામાં કાણું પાડીને સર્જરી કરવામાં આવતી હતી પણ હવે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રૃ.૭૫ લાખના ખર્ચે ઇઝરાયલ ટેકનીકથી સજ્જ લેસર મશીન મંગાવાયું છે પરિણામે હવે નાક, કાન, ગળા ઉપરાંત શ્વાસનળી અને સ્વરપેટીના ઓપરેશન વખતે ગળામાં કાણું પાડયા વિના દર્દીની પેઇનલેસ સારવાર થઇ શકશે. સ્વરપેટીના કેન્સરના દર્દીઓ માટે કાર્બન ડાયોકસાઇડ લેસર મશીન આશિર્વાદરૃપ સાબિત થશે.
શ્વાસનળી સંકોકાઇ જાય, સ્વરપેટીમાં મસા થાય, અવાજ ખોખરો થાય આવા કિસ્સામાં ઓપરેશન કરતી વખતે નોર્મલ રીતે ગળામાં કાણું પાડીને દર્દીને નળી નાંખવામાં આવે ત્યાર બાદ સર્જરી કરવામાં આવે છે. ઘણી વાર તો દર્દીને શ્વાસ લેવામાં પણ મુશ્કેલી ઉભી થાય છે. શ્વાસનળી સંકોચાઇ ગઇ હોય તો ગળામાં કાણું પાડી સર્જરી કરીને પહોળી કરવામાં આવે છે. હવે ઇઝરાયલ ટેકનોલોજીથી સજજ લેસર મશીન આવી સર્જરીમાં ઉપયોગી સાબિત થશે. અમદાવાદ સિવિલના ઇએન્ડટી વિભાગના પ્રોફેસર અને વડા ડૉ.રાજેશ વિશ્વકર્માએ જણાવ્યું કે, આ ટેકનીકને કારણે દર્દીને નાક,કાન,ગળા, સ્વરપેટી અને શ્વાસનળીના ઓપરેશનમાં ઘણી જ રાહત થશે કેમ કે, માત્ર લેસરથી ઓપરેશન કરાશે. અગાઉ દર્દીને ગળામાં કાણું પાડીને નળી નાંખ્યા બાદ પણ એકાદ બે દિવસ બાદ ઓપરેશન કરાતું હતું જેથી દર્દીને ખૂબ દર્દ સહન કરવું પડતું હતું. લેસર મશીનના માધ્યમથી થતી સર્જરીને કારણે દર્દીને પેઇનલેસ સારવાર થાય છે.એટલું જ નહી, પણ સ્વરપેટીના કેન્સરમાં તો ગાંઠની સર્જરી કરી સંપૂર્ણપણે કયોર કરી શકાય છે તેવા સારાં પરિણામો મળ્યાં છે. અત્યારે સિવિલમાં મહિને નાક-કાન અને ગળાના ૨૫ ઓપરેશન થાય છે. છેલ્લાં એકાદ સપ્તાહમાં કાર્બન ડાયોક્સાઇડની મદદથી સિવિલ હોસ્પિટલમાં ૧૨-૧૫ ઓપરેશન થયાં છે. ગરીબ દર્દીઓને આ લેસર મશીનથી લેટેસ્ટ ટેકનોલોજીની મદદથી નાક, કાન, ગળાના રોગોમાં મફત સારવાર મળશે.