Publish Date: Sun, 11 Aug 2024 (17:42 IST)
Updated Date: Sun, 11 Aug 2024 (17:32 IST)
x
અમેરિકન રિસર્ચ ફર્મ હિંડનબર્ગે પોતાના રિપોર્ટમાં સેબીનાં ચૅરપર્સન માધબી પુરી બુચ પર આર્થિક અનિયમિતતાના આરોપ લગાવ્યા છે. રિપોર્ટમાં માધબી બુચ અને તેમના પતિ ધવલ બુચ પર કેટલાક આરોપ લગાવવામાં આવ્યા છે.
હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સેબીનાં ચૅરપર્સનની એ ઑફશોર કંપનીઓમાં ભાગીદારી હતી જે કંપનીઓનો ઉપયોગ અદાણી ગ્રૂપની કથિત નાણાકીય ગેરરીતિમાં થયો હતો.
રિપોર્ટમાં આપેલી માહિતી પ્રમાણે, સેબીએ અદાણીની શેરહોલ્ડર કંપનીઓ પર કોઈ કાર્યવાહી કરી નથી. ઇન્ડિયા ઇન્ફોલાઇનની ઈએમ રિસર્જન્ટ ફંડ અને ઇન્ડિયા ફોક્સ ફંડ આ કંપનીઓને સંચાલિત કરે છે.
હિંડનબર્ગના આ રિપોર્ટ પર અદાણી જૂથે એક નિવેદનમાં કહ્યું છે કે, "હિંડનબર્ગ તરફથી લગાવવામાં આવેલા નવા આરોપોમાં દુર્ભાવના અને દુષ્ટતાપૂર્ણ રીતે જાહેરમાં ઉપલબ્ધ જાણકારીને પસંદ કરવામાં આવી છે. એટલે ખાનગી લાભ માટે પહેલાંથી નક્કી કરેલાં નિષ્કર્ષ પર પહોંચી શકાય. આ તથ્યો અને કાયદાનું પૂર્ણ રીતે ઉલ્લંધન છે."
નિવેદનમાં આગળ કહેવામાં આવ્યું છે, "અમે અદાણી જૂથ પર લગાવવામાં આવેલા આક્ષેપોને પૂર્ણ રીતે નકારીએ છીએ. આ આરોપો એ આધારવિહીન દાવાઓની રિસાઇકલિંગ છે જેની પૂર્ણ રીતે તપાસ થઈ ચૂકી છે. આ આરોપોને જાન્યુઆરી 2024માં સુપ્રીમ કોર્ટ તરફથી પહેલાં જ ફગાવી દેવામાં આવ્યા છે."
આની પહેલાં કૉંગ્રેસે એક નિવેદનમાં અદાણી મામલામાં ઉચ્ચ અધિકારીઓનું કથિત મળતિયાપણું ઉજાગર કરવા માટે જેપીસીના ગઠનની માગ કરી હતી.